મણિપુરથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરુ: વડાપ્રધાન મોદી આજ સુધી મણિપુરના આંસુ લૂછવા આવ્યા નથી, આ શરમજનક વાત છે,રાહુલ ગાંધી

  • કોંગ્રેસ પાર્ટી આ યાત્રા દ્વારા લોક્સભા ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી અને સામાજિક ન્યાયા સાથે જોડાયેલા મુદ્દા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે.

નવીદિલ્હી, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ન્યાય યાત્રા મણિપુરથી શરુ થઈ ગઈ છે. તેના માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાય નેતાઓ ઈમ્ફાલમાં પહોંચી ગયા છે. કાર્યર્ક્તાઓએ તેમનું સ્વાગત ફુલોથી કર્યું હતું.આ યાત્રાને આગામી ૨૦૨૪ની સંસદીય ચૂંટણી માટે કાર્યર્ક્તાઓમાં ઉત્સાહ ભરવા માટે કોંગ્રેસની આ અંતિમ હથિયાર માનવામાં આવે છે. પાર્ટીએ વધારેમાં વધારે લોકોને આ યાત્ર સાથે જોડાવાની અપીલ કરી છે. આ યાત્રા ૬૫૦૦ કિમી સુધી ૧૫ રાજ્યોની લગભગ ૧૦૦ લોક્સભા સીટ કવર કરશે.

રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટી રવિવારથી ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરુ કરી રહી છે. બીજા તબક્કાની યાત્રાને કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રા નામ આપ્યું છે. જો કે, આ યાત્રા નિશ્ચિત સમયે શરુ થઈ શકી નહોતી. ઈમ્ફાલમાં ભારત જોડો ન્યાય યાત્રા શરુ થવામાં મોડુ થવાને લઈને રાહુલ ગાંધીએ માફી માગતા કહ્યું કે, દિલ્હીમાં હવામાન ખરાબ હોવાના કારમે અમારી ફ્લાઈટ મોડી પડી. તેના માટે માફી માગું છું. મણિપુર હિંસા બાદ પીએમ મોદી આ રાજ્યમાં નહીં આવવાની ટિકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીને મણિપુરનું દુ:ખ દેખાતું નથી.રાહુલ ગાંધીએ મણિપુરના થૌબલથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. અહીં રાહુલ ગાંધીએ એક સભાને સંબોધતા કહ્યું – મણિપુરમાં ભાઈઓ, બહેનો, માતા-પિતાની નજર સામે મૃત્યુ પામ્યા અને આજ સુધી ભારતના વડાપ્રધાન તમારા આંસુ લૂછવા કે તમને મળવા મણિપુર આવ્યા નથી. આ શરમજનક વાત છે.રાહુલે વધુમાં કહ્યું- અમે તમારી વાત સાંભળવા આવ્યા છીએ, મન ની વાત સંભળાવવા નહીં. આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સભાને સંબોધલ કરતા કહ્યું- મોદીજી દરિયા કાંઠે ફરવા જાય છે, રામ-રામ જપે છે પરંતુ મણિપુર આવતા નથી.રાહુલની સાથે અશોક ગેહલોત, સચિન પાયલટ, દિગ્વિજય સિંહ, સલમાન ખુર્શીદ, આનંદ શર્મા અને રાજીવ શુક્લા જેવા ઘણા વરિષ્ઠ નેતાઓ મણિપુર પહોંચ્યા હતા.

ચૂંટણી આડે બહુ સમય બાકી નથી. તેથી પગપાળા તેમજ બસમાં યાત્રા કરવાનું નક્કી કર્યું. સફર ક્યાંથી શરૂ કરવી એવો પ્રશ્ન ઊભો થયો, કોઈએ કહ્યું પશ્ચિમથી કરો, કોઈએ કહ્યું પૂર્વથી કરો. મેં સ્પષ્ટ કહ્યું- આગામી ભારત જોડો યાત્રા મણિપુરથી જ શરૂ થઈ શકે છે. મણિપુરમાં ભાજપ નફરતનું રાજકારણ કરે છે.

૨૦૦૪થી હું રાજકારણમાં છું, પહેલીવાર હું ભારતના એક પ્રદેશમાં ગયો. જ્યાં શાસનનું સમગ્ર માળખું બગડી ગયું. ૨૯ જૂન પછી મણિપુર બદલાઈ ગયું. દરેક ખૂણે નફરત ફેલાઈ ગઈ. લાખો લોકોને નુક્સાન થયું. ભાઈ-બહેન, માતા-પિતા અમારી નજર સામે મૃત્યુ પામ્યા અને આજ સુધી ભારતના વડાપ્રધાન તમારા આંસુ લૂછવા કે તમને ગળે લગાડવા મણિપુર આવ્યા નથી. આ શરમજનક વાત છે.

કોંગ્રેસ પાર્ટી આ યાત્રા દ્વારા લોક્સભા ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી અને સામાજિક ન્યાય સાથે જોડાયેલા મુદ્દા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે. આજથી શરુ થતી આ યાત્રા માર્ચના ત્રીજા અઠવાડીયામાં મુંબઈ પહોંચશે, જ્યાં તેનું સમાપન થશે.આ યાત્રા ૬૭ દિવસમાં ૧૫ રાજ્યો અને ૧૧૦ જિલ્લામાંથી પસાર થશે. રાહુલ ગાંધીની આ યાત્રા મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થવાની છે.