
અંબાજી, અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘી મુદ્દે મોહિની કેટરર્સના માલિક પોતાને નિર્દોષ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જનીત શાહે તેમની સાથે છેતરપિંડી કરી છે અને અસલીના નામે નકલી ઘી પધરાવી દીધું હતું. આ મામલે મોહિની કેટરર્સે જતીન શાહ સામે ફરિયાદ પણ નોંધાવી છે અને હવે જનીત શાહ સામે બદનક્ષીનો દાવો પણ કરશે.
મોહિની કેટરર્સનો દાવો છે કે, નીલકંઠ ટ્રેડર્સમાંથી મગાવેલું ઘી સબ સ્ટાન્ડર્ડ છે, તે તેમને ખ્યાલ જ ન હતો. એટલું જ નહિં ૧૮ ઓગસ્ટના રોજ ફૂડ વિભાગની નિયમિત તપાસમાં તેમણે સહકાર આપ્યો હોવાની વાત પણ મોહિની કેટરર્સે કરી હતી. મોહિની કેટરર્સના જણાવ્યા પ્રમાણ ઘીની ડિલિવરી વિથ ઇન્સ્યોરન્સ હોય છે અને તેમાં ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયાનો ફરક પડતો હોય છે અને તમામ ઘી જીએસટી બિલ સાથે ખરીદ્યુ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મોહિની કેટરર્સે એવો પણ દાવો કર્યો કે, તેમણે સાબર ડેરી સાથે કોઇ વ્યવહાર કર્યો જ નથી. તેથી સાબર ડેરી તેમની સામે કોઇપણ ફરિયાદ કરી શકે નહીં. એવો પણ દાવો કર્યો છે કે, ગુજરાતમાં અનેક જગ્યા પર જેમનું કામકાજ ચાલે છે. આ કોઇપણ જગ્યાએ ફૂડ વિભાગની કામગીરીમાં નામ સામે આવ્યું નથી.