મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામે ક્ષત્રિયાણીઓએ જય ભવાની ભાજપ જવાનીના કર્યા સુત્રોચ્ચાર

સંતરામપુર, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં નહીં આવતા મહીસાગર જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે અને આંદોલન પાર્ટ-2 શરૂ કરવામાં આવ્યું છે. ક્ષત્રિય અસ્મિતા આંદોલન અંતર્ગત સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામે ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ક્ષત્રિયાણીઓના જણાવ્યા મુજબ આ આંદોલનમાં ભાઈઓનું મનોબળ મજબૂત કરવા માટે તેઓ આખો દિવસ ફક્ત પાણી પર રહેશે અને મા શક્તિની આરાધના કરશે. આજના ઉપવાસ આંદોલન દરમિયાન ભજન કરશે હનુમાન ચાલીસા પણ કરશે. આ લડાઇ નારીની અસ્મિતાનો સવાલ હોઈ નહિ કરીએ કોઈ સમાધાન, જય ભવાની ભાજપ જવાનીના સુત્રોચ્ચાર સાથે ક્ષત્રિયાણીઓ સમગ્ર વાતાવરણને ગુંજ્વ્યું હતું. તો ભાજપના કોઈ કાર્યકરને ગામમાં પ્રવેશબંધી અંગે બેનર પણ લગાવવામાં આવ્યા છે. આજથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ શરૂ કરવાનું આયોજન છે. ત્યારે જિલ્લાના ક્ષત્રિય સમાજમાં અસ્મિતા આંદોલન વેગ પકડી રહ્યું છે.આ આંદોલન ગામે ગામ પ્રસરે તેમ હાલ જણાઈ રહ્યું છે.