મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના ડોલરીયા ખાતે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર- કમ પ્રદર્શન યોજાયો

લુણાવાડા, પશુપાલન ખાતું,ગુજરાત રાજ્ય ગાંધીનગર, પશુપાલન શાખા-જીલ્લા પંચાયત મહીસાગર દ્વારા આયોજીત જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર-કમ પ્રદર્શન ખાનપુર તાલુકાના ડોલરીયા પંચાયત ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ બી.કે. પટેલના અધ્યક્ષસ્થાને અને લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેનની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું. આ શિબિરમાં જીલ્લામાંથી 300 થી વધુ પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે આદર્શ પશુપાલન કરી પશુપાલનમાંથી થતી આવક બમણી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખએ ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે પશુપાલકોને પશુ ચિકિત્સકોની સલાહ મેળવી વૈજ્ઞાનિક ઢબથી પશુપાલન કરવા અપીલ કરી હતી.

આ શિબિરમાં પશુ ચિકિત્સકોએ આદર્શ પશુપાલન થકી આવક વૃધ્ધિ, પશુ રસીકરણ, પશુ રોગચાળાનુ નિયંત્રણ અને સારવાર, પાડી વાછરડી ઉછેર, પશુઆહાર અને માવજત, સ્વચ્છતા, દૂધની ગુણવત્તા, પશુઓનો ગુણવત્તાયુક્ત ખોરાક, સરકારની યોજનાઓ અંગે પશુપાલકો માર્ગદર્શન અને મૂંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યું હતું.

આ પ્રસંગે એપીએમસી ચેરમેન ભૂલાભાઈ પટેલ, નાયબ પશુપાલન નિયામક ડો.એમ જી ચાવડા, મદદનીશ પશુપાલન નિયામક ડો.જે.એમ.પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય જશોદાબેન, પંચામૃત ડેરી ડિરેક્ટર હસમુખભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉમેશભાઈ, આસપાસના ગામના સરપંચો, પશુ ચિકિત્સકો, પશુધન નિરિક્ષકો, પશુપાલન શાખાના કર્મીઓ, વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.