મહીસાગર જીલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહ જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

  • શિક્ષક દિવસ નિમિત્તે 42 પાટીદાર સમાજ ઘર લુણાવાડા ખાતે તાલુકા અને જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન કરાયું.

મહીસાગર જીલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહ 42 પાટીદાર સમાજ ઘર લુણાવાડા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રૃષ્ણને તેમનો જન્મ દિવસ સમગ્ર રાષ્ટ્રના શિક્ષકોને સમર્પીત કરી દેશના ખુણે ખુણે સમાજમાં જ્ઞાનનું અજવાળુ ફેલાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 2047 વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકોની ભૂમિકા ખૂબ અગત્યની છે. શિક્ષક બાળકનુ યોગ્ય ઘડતળ કરી રાસ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. બાળકને પારખવાની શક્તિ શિક્ષકની છે બાળકની અંદર છુપાયેલ શક્તિને બહાર લાવી બાળકને તે દિશા તરફ લઈ જવાનું કામ શિક્ષકનું છે. કોઈ પણ સમાજ અથવા દેશનું સારૂં ભવિષ્ય બનાવવાની જવાબદારી શિક્ષકોની છે.

આ પ્રસંગે જીલ્લા કલેકટર નેહા કુમારીએ જણાવ્યું હતું કે, બાળકની જરૂરિયાતને ઓળખી તેને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ શિક્ષકનું છે. શાળાના કમજોર વિધ્યાર્થીઓને પારખી તેમના પર વિશેષ ધ્યાન આપવામાં આવે તો તે વિધ્યાર્થી પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે, તે માટે શિક્ષક બાળકને યોગ્ય દિશા આપવાનું કામ કરે છે. જો દરેક શિક્ષક ચાહે તો જીલ્લામાં બધી શાળાઓ 100% પરિણામ લાવી શકે છે.

આ પ્રસંગે જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીનભાઈ શુક્લએ શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, મહીસાગર જીલ્લો શિક્ષકોની ખાણ છે રાજ્યના કોઈ પણ જીલ્લામાં જશો ત્યાં મહીસાગર જીલ્લાના શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપતા હશે.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રૃષ્ણનના જન્મ દિવસને ગુરૂને સન્માનવાનો દિવસ એટલે કે શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષકનું કાર્ય સ્વાર્થ વગરનું હોય છે બાળકના ઘડતળનુ કાર્ય શિક્ષક કરે છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જીલ્લાના પ્રતિભાશાળી વિધ્યાર્થીઓનું સન્માન, મહીસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પ ગીત ગાયિકાનું સન્માન, તાલુકા અને જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું.

સમારોહના પ્રારંભમાં શાળાની બાલીકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારી નૈલેશ મુનિયાએ મહાનુભાવોને આવકાર્યા હતા.

આ પ્રસંગે મહીસાગર જીલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખઓ અને હોદ્દેદારઓ, બીઆરસી, સીઆરસી સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઇઓ-બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.