લુણાવાડાના કણજાવની પ્રા.શાળામાં 8માંથી 7 ઓરડાઓ જર્જરિત : એક જ ઓરડામાં ત્રણ વર્ગના બાળકો અભ્યાસ કરવા મજબુર

લુણાવાડા, લુણાવાડાના કણજાવ ગામની સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના 201 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના 8માંથી 7 ઓરડા જર્જરિત હાલતમાં છે. જે છેલ્લા 4 વર્ષ ડિસ્મેન્ટલ જાહેર કર્યા છે. છતાં પણ કેટલાક ધોરણના બાળકોને જર્જરિત ઓરડાઓમાં બેસાડવામાં આવી રહ્યા છે. તો કેટલાક ધોરણના વિધાર્થીઓને શિયાળાની ઠંડીમાં બહાર બેસીને અભ્યાસ કરાવવાનો વારો આવ્યો છે. જયારે એક જ ઓરડામાં ત્રણ વર્ગના બાળકોને બેેસાડીને અભ્યાસ કરાવાય છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા સાથે શાળાના મકાનને નવુ બનાવવાની માંગ કરી છે પરંતુ કયારે બનશે તે એક મોટો સવાલ છે.

તાલુકાના કણજાવની પ્રાથમિક શાળામાં 201 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના 8માંથી 7 ઓરડા જર્જરિત છે. અનેક એક જ ઓરડો બાળકોને બેસાડવા લાયક છે. જેથી હાલના સમયમાં તેઓ વર્ષો જુના જર્જરિત જુના ઓરડામાં અભ્યાસ કરવા માટે મજબુર બન્યા છે. જુના અને જર્જરિત ઓરડાઓ અને તેમાં પણ એક ઓરડાનો પિલ્લર તુટી ગયો છે. જે ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે. બીજા ઓરડાઓ સિમેન્ટના પતરાવાળા કે જેમના છાપરાના પતરા તુટી ગયા છે. આ ઓરડાઓ પણ ગમે ત્યારે તુટી શકે તેમ છે. અને કોઈપણ દુર્ધટના સર્જાઈ શકે છે. શાળાના મકાનની દુર્દશાથી વિધાર્થીઓ શાળાના ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. આ શાળાના ધો-1 થી 8ના 201 વિધાર્થીઓને બે ઓરડામાં કેવી રીતે બેસાડી અભ્યાસ કરાવી શકાય ? બાળકો અત્યાર સુધી જીવના જોખમે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આ જર્જરિત ઓરડાને લઈને શાળાએ આવતા બાળકોના વાલીઓ પોતાના બાળકોની ચિંતા કરી રહ્યા છે. તેમજ કેટલાય વર્ષોથી જર્જરિત ઓરડાને લઈને વારંવાર અધિકારીઓને ફરિયાદ કરી પરંતુ નગોર જિલ્લાનુ શિક્ષણતંત્ર એક કાને સાંભળી બીજા કાને કાઢી નાંખતા હોય તેમ દેખાઈ રહ્યુ છે.