
ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરની કારને લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ ઘેરી લીધી હતી. આ દરમિયાન એક ખાલિસ્તાની સમર્થક જયશંકરની કારની સામે આવીને ત્રિરંગો પણ ફાડ્યો હતો. જયશંકર હાલ લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ પોતાની કાર તરફ આગળ વધ્યા, ત્યાં પહેલેથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તેમને જોઈને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. આ પછી ત્રિરંગો લઈને આવેલી એક વ્યક્તિએ તેમની કારની સામે આવીને રસ્તો રોક્યો હતો. આ દરમિયાન તેણે રાષ્ટ્રધ્વજ ફાડવા જેવું શરમજનક કૃત્ય પણ કર્યું હતું.
આ વ્યક્તિની આ હરકત જોઈને તરત જ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને કારથી દૂર લઈ ગયા. એક તરફ કેટલાક ખાલિસ્તાન સમર્થકો હાથમાં ખાલિસ્તાનનો ધ્વજ લઈને નારા લગાવી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેના કારણે ભારતીય સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના બાદ લંડનમાં ભારતીયોએ વિરોધપ્રદર્શન કર્યું છે. લોકો બ્રિટિશ સરકાર પાસે ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત, ભારત સરકાર પણ રાજદ્વારી સ્તરે આ મુદ્દો ઉઠાવે તેવી અપેક્ષા છે.
નોંધનીય છે કે ખાલિસ્તાની તત્ત્વો દ્વારા ભારતવિરોધી પ્રવૃત્તિઓ આ પહેલાં પણ વિદેશોમાં ઘણી વખત જોવા મળી છે. બ્રિટન, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં ભારતીય દૂતાવાસો બહાર પણ આવી ઘટનાઓ બની છે, જેના પર ભારત સરકાર વિરોધ વ્યક્ત કરી ચૂકી છે.
જયશંકરે કહ્યું- PoK મળતાં જ કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે
જયશંકર 4 માર્ચે બ્રિટન પહોંચ્યા હતા. તેઓ બીજા દિવસે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં એક કાર્યક્રમમાં પોતાની વાત કરી રહ્યા હતા. કાશ્મીર મુદ્દા અંગે તેમણે કહ્યું હતું કે PoK મળતાં જ આ મુદ્દો ખતમ થઈ જશે.