કુસ્તીબાજોનો વિરોધ ચાલુ રહેશે, લડાઈ રસ્તા પર નહીં પણ કોર્ટમાં લડવામાં આવશે

નવીદિલ્હી, ભારતની કેટલીક ટોચની આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજોએ પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ નોંધવા અને પછી તેની ધરપકડને લઈને છેલ્લા પાંચ મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. સાક્ષી મલિકે રવિવારે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે તે તેની લડાઈ રસ્તાના બદલે કોર્ટમાં લડશે. ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે આ મામલામાં જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કુસ્તીબાજોનો વિરોધ ચાલુ રહેશે, પરંતુ આ લડાઈ રસ્તા પર નહીં પણ કોર્ટમાં લડવામાં આવશે.

નિવેદન પોસ્ટ કર્યાની મિનિટો પછી, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે ટ્વિટ કર્યું કે તેઓ થોડા દિવસો માટે સોશિયલ મીડિયાથી બ્રેક લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં સુધારાને લઈને ચૂંટણી પ્રક્રિયા વચન મુજબ શરૂ થઈ ગઈ છે. અમે ૧૧ જુલાઈની ચૂંટણીને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા થાય તેની રાહ જોઈશું.

સાક્ષી મલિકે તેના ટ્વિટમાં લખ્યું હતું કે તેણે ૭ જૂને સરકાર સાથેની વાતચીતમાં કુસ્તીબાજોને આપેલા વચનો પૂરા કર્યા. ત્યારે દિલ્હી પોલીસે છ મહિલા કુસ્તીબાજો દ્વારા ઉત્પીડન અને યૌન શોષણની ફરિયાદો પર નોંધાયેલી એફઆઈઆરની તપાસ પૂર્ણ કરી છે અને ૧૫મી જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. તેણે લખ્યું છે કે જ્યાં સુધી આ કેસમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી કુસ્તીબાજોની લડાઈ રસ્તાના બદલે કોર્ટમાં જ ચાલુ રહેશે.

આ સિવાય સાક્ષી મલિકે લખ્યું કે નવા રેસલિંગ એસોસિએશનની ચૂંટણીની પ્રક્રિયા પણ વચન મુજબ શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૧મી જુલાઈએ ચૂંટણી યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. હવે આ અંગે સરકારે આપેલા વાયદાના અમલીકરણની રાહ જોવાઈ રહી છે.

આ દરમિયાન યોગેશ્ર્વર દત્તે કુસ્તીબાજોની ટીકા કરી હતી. જો કે તેના જવાબમાં સાક્ષી મલિકે કહ્યું કે અમે ક્યારેય કોઈના હકનું મારણ કર્યું નથી અને ક્યારેય કરીશું નહીં. તેણે કહ્યું કે અમે કુશ્તીમાં સખત મહેનત કરીને જ્યાં છીએ ત્યાં પહોંચ્યા છીએ. તેણે કહ્યું કે અમે ૬ મહિનાથી કુસ્તી કરી શક્યા નથી, તેથી અમે માત્ર ટ્રાયલ અને થોડો સમય માંગ્યો છે.

તમને જણાવી દઈએ કે, પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને ધમકીના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ અન્ય કુસ્તીબાજોની ફરિયાદ બાદ પણ ફરીયાદમાં મોડું થવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની અલોચના કરવામાં આવી છે,બીજી તરફ મુક્ત થયેલા બ્રિજભૂષણ શરણ સિંહે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે, જો તે દોષી સાબિત થાય છે, તો તેમને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે.