કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ દ્વારા ચણા અને ઘઉં પાકમાં ખેડૂત દિવસની ઉજવણી : 274 ખેડૂતોએ લીધો ભાગ

દાહોદ,

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા દાહોદ જીલ્લાના મુનાવાણી, મોટી હાંડી અને રણીયાર કણબી ગામે નિદર્શીત કરેલ ચણા અને ઘઉં પાકમાં “ખેડૂત દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં . એન. ડી. મકવાણા, વૈજ્ઞાનિક (સસ્ય વિજ્ઞાન) એ નિદર્શિત ચણાની ગુજરાત જુનાગઢ ચણા 6 અને ઘઉંની ગુજરાત ઘઉં 451 જાતની લાક્ષણીકતાઓ તેમજ આ જાતો અન્ય જાતોની સરખામણીએ ચડીયાતી છે તે વિશે ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

જ્યારે ડો. જી.કે. ભાભોર વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)એ આ સુધારેલ જાતોનું મહત્વ તેમજ વધુમાં વધુ સમસ્તરીય ફેલાવો કરવા ખેડૂતોને અપીલ કરેલ તેમજ જીલ્લા ખેતીવાડી વિભાગ, દાહોદથી અર્પિત ભૂરીયા (ખેતીવાડી અધિકારી)એ વિવિધ ખેતીવાડી અને બાગાયત યોજનાઓ અને અરજી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ખેડૂતોને વિગતે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં કુલ 274 ખેડુત ભાઈઓ અને મહિલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન કુમારી ઊર્મિ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.