કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને સોંપ્યો વન નેશન, વન ઈલેક્શન રિપોર્ટ, ૧૯૧ દિવસ સુધી ચાલ્યું સંશોધન

નવીદિલ્હી, વન નેશન, વન ઈલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનેલી સમિતિએ ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટ લોક્સભા-રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ તેમજ દેશની તમામ સંસ્થાઓ વિશે છે.છેલ્લા ૧૯૧ દિવસમાં હિતધારકો, નિષ્ણાતો અને સંશોધન કાર્ય સાથે વ્યાપક પરામર્શ બાદ ૧૮,૬૨૬ પાનાનો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સમિતિની રચના ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વન નેશન-વન ચૂંટણી માટે કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે હાલમાં દેશમાં લોક્સભા અને વિધાનસભા ચૂંટણી માટે અલગ-અલગ મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવે છે. જ્યારે રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણી માટે યાદી તૈયાર કરે છે. કોવિંદ કમિટીના રિપોર્ટમાં પ્રથમ તબક્કામાં લોક્સભા અને વિધાનસભા ચૂંટણીની માહિતી આપવામાં આવી છે. જ્યારે બીજા તબક્કામાં નગરપાલિકાઓ અને પંચાયતોને લોક્સભા-વિધાનસભાને સહકાર આપવા જણાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોક્સભા-વિધાનસભા ચૂંટણીના ૧૦૦ દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પણ કરાવવામાં આવે.

વન નેશન, વન ઈલેક્શનની હિમાયત કરતી વખતે સમિતિએ કેશવાનંદ ભારતી વિ કેરળ સરકાર કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં કોર્ટે કહ્યું હતું કે, “સમાજને બાંધીને રાખવું શક્ય નથી. જ્યારે સમાજ વધે છે ત્યારે તેની જરૂરિયાતો પણ બદલાય છે. તેથી તે જરૂરિયાતોને આધારે બંધારણ અને કાયદામાં ફેરફાર કરવો પડી શકે છે.” આ સાથે કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આવનારી પેઢીને કોઈ એક પેઢી બાંધી શકે નહીં. તેથી જ સમજદારીપૂર્વક તૈયાર કરાયેલા બંધારણમાં તેના પોતાના સુધારાની જોગવાઈ પણ છે.

આ સાથે સમિતિએ કહ્યું કે તમામ ચર્ચાઓ બાદ અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે અમારી ભલામણોથી પારદશતા, સમાવેશીતા, સરળતા અને મતદારોનો વિશ્ર્વાસ વધશે. સમિતિને આશા છે કે એક્સાથે ચૂંટણી યોજવા માટે જબરદસ્ત જનસમર્થન મળી શકે છે. આ વિકાસ પ્રક્રિયાની સાથે સામાજિક એક્તા મજબૂત કરશે. તેનાથી લોકશાહી વ્યવસ્થાનો પાયો વધુ ઊંડો થશે અને ભારતની આકાંક્ષાઓ સાકાર થશે.