ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

મહીસાગર,કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે પ્રભારી મંત્રી અને પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, ભારત સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા વર્ગના લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે. ભારત સરકાર દ્વારા છેવાડાનાં માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે.

આઝાદીના 100 વર્ષે 2047માં આપણો દેશ સંપૂર્ણ વિકસિત થઈ જશે એવા સંકલ્પ સાથે મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી માટે આ દેશની પ્રજા જ તેમનો પરિવાર છે. તેમણે પ્રજાના લોકકલ્યાણ અને જન સુખાકારી માટે નાની નાની દરેક યોજનાઓનું ધ્યાન રાખ્યું છે. ત્યારે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ લઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવુ જોઈએ.

આ પ્રસંગે મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. આ ઉપરાંત મેરી કહાની મેરી ઝુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જીલ્લા પંચાયના પ્રમુખ બાબુભાઈ પટેલ, જીલ્લા કલેકટર ભાવિન પંડ્યા, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ,ગામના સરપંચ, મામલતદાર, તાલુકા અધિકારી, સહિત અધિકારીઓ કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.