ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય ગુપ્તચર એજન્સી રો નો એક અધિકારી સામેલ છે

  • પન્નુ કેસમાં અમેરિકન મીડિયાના અહેવાલથી વિદેશ મંત્રાલય નારાજ

નવીદિલ્હી, ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકન મીડિયાના એ અહેવાલોને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય ગુપ્તચર એજન્સી રો નો એક અધિકારી સામેલ છે. હકીક્તમાં, અજ્ઞાત સૂત્રોના હવાલાથી એક અમેરિકન મીડિયા રિપોર્ટમાં રો ઓફિસરનું નામ સામે આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જ અધિકારી પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હતા. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, તે કથિત રો અધિકારી હતો જેણે ન્યૂયોર્કમાં ગુરપતવંત સિંહ પન્નુના ઘરનું સરનામું અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, રિપોર્ટમાં ગંભીર મામલામાં પાયાવિહોણા અને અયોગ્ય આરોપો લગાવવામાં આવ્યા છે. સંગઠિત અપરાધ, આતંકવાદ અને અન્ય બાબતો અંગે યુએસ સરકાર દ્વારા શેર કરાયેલી સુરક્ષા ચિંતાઓની ભારત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે. જયસ્વાલે કહ્યું કે બેજવાબદાર અને અનુમાનિત ટિપ્પણી કરવાથી કોઈ ફાયદો થશે નહીં.

ગયા વર્ષે નવેમ્બરમાં, યુએસ ફેડરલ પ્રોસિક્યુટરે આરોપ લગાવ્યો હતો કે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ ભારત સરકારના કર્મચારી સાથે મળીને અમેરિકામાં જ શીખ કટ્ટરવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યા કરવાની યોજના બનાવી હતી. આ કેસમાં નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિક્તા ધરાવે છે. આરોપો બાદ ભારત સરકાર પણ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી રહી છે. ગયા વર્ષે ૭ ડિસેમ્બરે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં કહ્યું હતું કે અમેરિકાથી મળેલા ઈનપુટના આધારે ભારતે આ મામલાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી છે કારણ કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.