
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે ૧૮ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આમાં કુલ ૫ બેઠકો થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ગુરુવારે (૩૧ ઓગસ્ટ) સોશિયલ મીડિયા પર કહ્યું – હું અમૃત કાલ દરમિયાન સંસદમાં અર્થપૂર્ણ ચર્ચાની રાહ જોઈ રહ્યો છું. આ પહેલા સંસદનું ચોમાસુ સત્ર ૨૦ જુલાઈથી શરૂ થઈને ૧૧ ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. મણિપુર હિંસા પર વિપક્ષના વિરોધને પગલે સત્રને ઘણી વખત કોઈ પણ કામકાજ વગર સ્થગિત કરવું પડ્યું હતું. આ સત્રમાં વિપક્ષે સરકાર સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ પણ લાવ્યો હતો, જેમાં પરાજય થયો હતો. રાજ્યસભાના સાંસદ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સંસદનું વિશેષ સત્ર બોલાવવા પર કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવાર ગણેશ ચતુર્થી દરમિયાન સત્ર બોલાવવામાં આવ્યું. ખાસ બેઠક બોલાવવી હિંદુ ભાવનાઓની વિરુદ્ધ છે.
દરમિયાન આ સત્રમાં વિપક્ષ ફરી એકવાર ચીનનો નકશો, મણિપુર હિંસા અને અદાણી કેસની જેપીસી દ્વારા તપાસ કરાવવા જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરશે. ચીને હાલમાં જ એક નવો નકશો જાહેર કર્યો છે, જેમાં તેણે અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાનો ભાગ જાહેર કર્યો છે. જોકે, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ચીન હંમેશા આવી હરક્તો કરતું રહે છે. રાહુલ ગાંધીએ હાલમાં જ લદ્દાખની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ચીને આપણા વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે. આખું લદ્દાખ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે નિવેદન આપવું જોઈએ.
આ ઉપરાંત મણિપુરમાં ૩ મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે અનામતને લઈને હિંસા ચાલુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા છે. ગત ચોમાસુ સત્રમાં પણ વિપક્ષે આ જ મુદ્દે સરકારને ઘેરીને કામકાજ અટકાવી દીધું હતું. રાજ્ય સરકારે ૨૯ ઓગસ્ટે એક દિવસ માટે વિધાનસભાનું સત્ર પણ બોલાવ્યું હતું, પરંતુ વિપક્ષના હોબાળાને પગલે તેને સ્થગિત કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસે કાળા ઝંડા પણ ફરકાવ્યા હતા. તે જ દિવસે ચુરાચંદપુર-વિષ્ણુપુર બોર્ડર પર ફાયરિંગમાં બે લોકોના મોત થયા હતા.
અદાણી-હિંડનબર્ગ કેસની ત્નઁઝ્ર દ્વારા તપાસ કરાવવા અંગે વિપક્ષ ફરી એકવાર આ સત્રમાં હંગામો મચાવી શકે છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અદાણી ગ્રુપ સાથે જોડાયેલા સમગ્ર પ્રકરણનું સત્ય સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા જ બહાર આવી શકે છે. કોંગ્રેસ આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહી છે. રાહુલ ગાંધીએ સંસદમાં અદાણી અને વડાપ્રધાનની તસવીરો પણ બતાવી હતી. આ પછી, તેમણે એક કેસમાં તેમનું સભ્યપદ ગુમાવ્યું, જોકે સુપ્રીમ કોર્ટે તેમનું સભ્યપદ પુન:સ્થાપિત કર્યું.
વિપક્ષ પણ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી શકે છે. ગયા મહિને છૂટક બજારમાં ટામેટાના ભાવ રૂ.૨૦૦થી રૂ.૨૫૦ સુધી પહોંચી ગયા હતા. આ પછી વિપક્ષે પ્રદર્શન કર્યું. આ સિવાય વિપક્ષ ડુંગળી પર આયાત કર લાદવા પર પણ સરકારને ઘેરી શકે છે. આ ઉપરાંત તાજેતરના સમયમાં દાળના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે. વિપક્ષ પણ આ મુદ્દે સરકાર પર વર્ચસ્વ જમાવી શકે છે.