કેજરીવાલ લોભામણી વાત કરીને ગુજરાતને ગુમરાહ કરતા હોવાથી કોંગ્રેસને આપજો મત : ભરતસિંહ

અમદાવાદ : ચૂંટણી એટલે આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ. ચૂંટણી આવે એટલે નેતાઓ બેફામ બને છે, એકબીજા પર શાબ્દિક પ્રહારો કરે છે. ગુજરાતમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ત્રણેય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે પોતાની જીતનો લેખિત દાવો આપ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસે લેખિત દાવો આપ્યો કે, આપની શૂન્ય બેઠક આવશે. તો બીજી તરફ, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ આમ આદમી પાર્ટીને ટુરિસ્ટ પાર્ટી ગણાવી છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓની નિવેદન બાજી જોરશોરથી જોવા મળી રહી છે. આવતીકાલે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે બીજા તબક્કાના મતદાન માટે પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતમાં હતા તેમણે ભાજપની જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. રાજનાથસિંહે કહ્યું કે, ભાજપ આ વખતે તમામ રેકોર્ડ તોડી નાંખશે, તો વિપક્ષ પર વાર કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચૂંટણી લડી રહી છે. તો આમ આદમી પાર્ટી માત્ર પોતાની ઉપસ્થિતિ દર્શાવવા માટે ચૂંટણી લડી રહી છે. રાજનાસિંહના નિવેદનનો જવાબ આપતા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, કોણ સત્તામાં રહેશે તે જનતા નક્કી કરે છે. ભાજપે ખોટા ઘમંડમાં ન રહેવું જોઈએ.

રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે, કોરા કાગળ પર મેં પણ લખ્યું છે કે આપની શૂન્ય બેઠક આવશે. તેમના સીએમ પદના ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત થશે. ૫ વર્ષમાં ભાજપની ભૂલ બતાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આ મોસમ આધારિત પાર્ટી જેમની પાસે કાર્યકર નથી, પેઇડ વર્કરના આધારે આ અમારી સામે સવાલ કરે છે.

રઘુ શર્માએ કહ્યું કે, અમારી પાસે આવેલા રિપોર્ટ મુજબ લોકોની પરેશાની મતદાન સ્વરૂપે સામે આવશે. પીએમએ સતત ૮ મહિના ગુજરાતને આ ચૂંટણી જીતવા આપ્યા છે. ગૃહમંત્રી સતત ગુજરાતમાં છે. ૪૦ મંત્રીઓ, ભાજપ સરકાર છે એમના સીએમ અહીં ગુજરાતની ગલીઓમાં ફરે છે. કોઈ સારું કામ કર્યું હોત તો હેરાન નાં થવું પડત. એમની સભામાં કોઈ જતું નથી, ખુરશી ખાલી છે. ગૌરવ યાત્રા ૧૦ ને બદલે ૭ દિવસમાં પૂરી કરવી પડી. ભાજપ જનસમર્થન ખોઈ ચૂકી છે. કોંગ્રેસની સભામાં આશા કરતા વધારે લોકો આવી રહ્યા છે. ૨૭ વર્ષ બાદ ગુજરાતે પરિવર્તનનું મન બનાવી લીધું છે. અમે ૧૨૫ પ્લસનો ટાર્ગેટ કહ્યું હતું, આ વખતે અમારી સરકાર બનશે. કોંગ્રેસ જે રીતે આ વખતે ચૂંટણી લડી રહી છે, કોઈ શોર વગર, એ જીત અપાવશે. જેમને જમીનની હકીક્તથી કોઈ મતલબ નથી હોતો એમને ૮ ડિસેમ્બરે પરિણામ બતાવશે. કોઈપણ સરકારી મશીનરીનો દુરુપયોગ થયો તો કોંગ્રેસ એવું નહીં થવા દે.

Don`t copy text!