’કેબીસી ૧૪’ બંધ થશે:અમિતાભ બચ્ચને ઇમોશનલ પોસ્ટ શૅર કરી, ખાલીપણાનો અહેસાસ થશે

મુંબઈ,

ગેમિંગ રિયાલિટી શો ’કૌન બનેગા કરોડપતિ ૧૪’ ટૂંક સમયમાં જ ઑફએર થશે. આ શો હવે ગ્રાન્ડ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. અમિતાભ બચ્ચને હાલમાં જ આ શો અંગે વાત કરી હતી.અમિતાભ બચ્ચને બ્લોગમાં કહ્યું હતું કે ’કેબીસી’નું શૂટિંગ પૂરું થવા જઈ રહ્યું છે. બ્લોગમાં અમિતાભ આ વાતને કારણે ભાવુક થઈ ગયા હતા. તે ઈચ્છતા નથી કે આ શો ઑફએર થાય. આટલું જ નહીં બિગ બીએ વિવિધ પર્સનાલિટી તથા સેલિબ્રિટિઝમાંથી પ્રેરણા મળી હોવાની વાત પણ કહી હતી.

બિગ બીએ કહ્યું હતું, ’કેબીસી’ હવે પૂરું થવા જઈ રહ્યું છે. ક્રૂ તથા કાસ્ટને રૂટિનમાં પરત ફરવામાં એક ખાલીપણાનો અહેસાસ થશે. અલવિદાની લાગણી થઈ રહી છે. જોકે, આશા છે કે ટૂંક સમયમાં જ ફરીથી મળીશું.અમિતાભે બ્લોગમાં કહ્યું હતું કે શોમાં અલગ અલગ લોકો આવ્યા હતા અને તેમણે દેશ તથા સમાજમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તે લોકો સાથે વાત કરવી સન્માનની વાત હતી. તેમની પાસેથી ઘણું જ શીખવાનું મળ્યું. તેમણે પોતાના વિશ્ર્વાસ, ભરોસો, ડિસિપ્લિન તથા બેસ્ટ શોટ આપીને પોતાનો આગવો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. આ બાબતો બધા લોકો માટે છે. તેમનામાંથી પ્રેરણા લઈને ઘરે પરત ફરીએ છીએ અને પોતાની જાતને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. વધુમાં અમિતાભે કહ્યું હતું કે અલવિદા કહેવું થોડું અજીબ લાગે છે.

આ સિઝનમાં અત્યાર સુધી એક જ મહિલા સ્પર્ધક કવિતા ચાવલા એક કરોડ રૂપિયા જીતી છે. દિલ્હીનો શાશ્ર્વત ગોયલ ૧ કરોડ રૂપિયા જીત્યો હતો, પરંતુ તેણે સાડા સાત કરોડ રૂપિયાનો જવાબ ખોટો આપ્યો હતો અને આ જ કારણે તે ૭૫ લાખ રૂપિયા જીતી શક્યો હતો.

’કેબીસી’ને બદલે બીજી જાન્યુઆરીથી ’માસ્ટર શૅફ ઇન્ડિયા’ શરૂ થશે. આ શોમાં વિકાસ ખન્ના, રણવીર બ્રાર તથા ગરિમા અરોરા જજ પેનલમાં છે. આ શો ૨૦૧૦માં અક્ષય કુમારે લૉન્ચ કર્યો હતો. આ શોમાં અત્યાર સુધી જજ પેનલમાં અજય ચોપરા, કુનાલ કપૂર, સંજીવ કપૂર, જોરાવર કાલરા, વિનીત ભાટિયા આવી ચૂક્યા છે.