કાલોલ,કાલોલની સર્વોદય સોસાયટીમાં રહેતા અને ઈટોનો ધંધો કરતા નુરલખાન નસરતખાન પઠાણે કાલોલ કોર્ટમાં મધવાસના ચંદુભાઈ રામાભાઈ સામે ચેક રિટર્નની ફરીયાદ વર્ષ 2017 માં નોંધાવી હતી. જેની મુખ્ય વિગતો જોતા બન્ને વચ્ચે દોઢેક વર્ષ થી મિત્રતા હતી અને આરોપી અગાઉ પણ ઉછીના નાણા લઈ ગયા હતા અને પરત આપી ગયા હતા અને તેથી વિશ્વાસ સંપાદિત કરેલો. વર્ષ 2015માં આરોપી ચંદુભાઇને પૈસાની જરૂર પડતા બે ટુકડે રૂા. 3 લાખ ઉછીના આપેલા જે નાણાં વાયદા મુજબ પરત નહિ આવતા ફરિયાદીએ ઉઘરાણી કરતા રૂા. 3 લાખનો સિલવસા શાખાનો બેંક ઓફ બરોડાનો ચેક આરોપીએ આપ્યો હતો. જે બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયો હતો. જે અંગેની નોટીસ આપી હતી અને ત્યારબાદ આ ફરીયાદનું કારણ ઉપસ્થીત થયેલ. સમગ્ર બાબત પુરાવા માટે જતા આરોપી તરફે એડવોકેટ એસ.એસ.વણકરે જણાવેલ કે આરોપી ચંદુભાઈને કાલોલ જલારામ નગર હાઉસિંગ સોસાયટીમાં પ્લોટનું બુકિંગ કરાવેલ અને તે માટે મકાન બાંધવા લોન કરાવવા જરૂરી દસ્તાવેજો સાથે છ ચેક ફરિયાદીને આપેલ પરંતુ ફરિયાદીએ પ્લોટનો દસ્તાવેજ કરી આપેલ નહોતો અને અન્ય ને વેચી દીધેલ જેની ફરીયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં કરતા ફરિયાદીએ સમાધાન કરેલું અને છ ચેક આપેલા તેનો દુરઉપયોગ કરીને આ ફરિયાદ કરી છે. વધુમાં આરોપીના એડવોકેટ દ્વારા જણાવેલ કે, આરોપી મધવાસ ખાતે રહેતા ન હોવા છતાં પણ મધવાસ ખાતે ચેક રીટર્નની નોટીસ મોકલાવી ખોટી ફરિયાદ કરી છે અને આ હકીકત ફરિયાદીએ તેની ઉલટ તપાસમાં પણ કબુલ કરેલ છે કે આરોપી મધવાસ ખાતે રહેતા નથી અને નોટીસનું કવર સરનામામા જણાવેલ વ્યક્તિ રહેતી ન હોય પરત એવા શેરા સાથે પાછું આવ્યું હતું. વધુમાં ફરિયાદીએ જે હાથ ઉંછીના નાણાં ઉપાડીને બેંક માંથી આપ્યા હતા. તે અંગેનું બેંકનું કોઈ સ્ટેટમેન્ટ પણ રજૂ કરેલ ન હતું કે હાથ ઉછીના નાણાંનું લખાણ કે કોઈ સાક્ષી રજૂ કરેલ ન હતો. આરોપી એ કાલોલ પોલીસ મથકે પોતાની સામે છેતરપીંડી ની ફરીયાદ કરી હોવાનુ પણ રેકર્ડ પર આવેલ તમામપુરાવાને આધારે કાલોલના એડિશનલ ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ એસ.એસ.પટેલે ફરિયાદી પોતાનુ કાયદેસરનું લેણું પુરવાર કરી શક્યા ન હોવાથી તેમજ આરોપીના કોરા ચેકનો ઉપયોગ કર્યો હોવાની દલીલ સ્વીકારી અને એન.આઈ. એક્ટ ની આદેશાત્મક જોગવાઈઓનું પાલન કર્યા વિના ફરિયાદ દાખલ કરી હોય એપેક્ષ કોર્ટના ચૂકાદા અને તેમાં જણાવેલ સીદ્ધાંતો મુજબ આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.