
- આગામી એકથી ૩ સપ્તાહમાં સમગ્ર સંગઠનાત્મક ફેરબદલની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
નવીદિલ્હી, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતે કોંગ્રેસ અને તેના કાર્યકરોમાં ઉત્સાહ ભરી દીધો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે હવે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રથમ સંગઠનમાં ફેરબદલની યોજના છે. આ ક્રમમાં કોંગ્રેસ ટૂંક સમયમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ, પશ્ર્ચિમ બંગાળ અને ઝારખંડમાં નવા અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. આ સાથે પાર્ટી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપી શકે છે.
એક અહેવાલ અનુસાર કોંગ્રેસ ટૂંક સમયમાં ઓડિશા, હરિયાણા અને બિહારમાં નવા પ્રભારીઓની નિમણૂક કરશે. આ સાથે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પ્રભારી પણ બદલવામાં આવશે. હકીક્તમાં આ બંને રાજ્યોના વર્તમાન પ્રભારી દિનેશ ગુંડો રાવ અને એચકે પાટીલને તાજેતરમાં કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.
ટૂંક સમયમાં રાજસ્થાનમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષના નામ પર મહોર લાગી શકે છે. કારણ કે રાજ્યમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો મતભેદ સામે આવ્યો છે. આ ઉપરાંત યુવા ચહેરાઓને તક આપવાના હેતુથી ટૂંક સમયમાં નવી કોંગ્રેસ કાર્યકારી સમિતિની ચૂંટણી કરવામાં આવશે. રાયપુરના સત્રમાં આ અંગેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી એકથી ત્રણ સપ્તાહમાં સમગ્ર સંગઠનાત્મક ફેરબદલની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પદો માટેના ઉમેદવારોના નામ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે પહોંચી ગયા છે.
રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને નેતાઓએ ખુલ્લેઆમ એકબીજા સામે મોરચો ખોલ્યો છે. બીજી તરફ કોંગ્રેસ રાજસ્થાન સંકટને ઘણા મહિનાઓથી ટાળી કરી રહી છે. રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન બંને નેતાઓને સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો. કર્ણાટક ચૂંટણી બાદ બંને નેતાઓ સાથે વાતચીત પણ થઈ હતી. રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે જતા પહેલા જ બંનેને મળ્યા હતા. આ દરમિયાન પાયલટ અને ગેહલોતને મનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેથી રાજસ્થાન ચૂંટણી પહેલા એક્તાનો સંદેશ આપી શકાય. જ કે હજુ સુધી કોઈ ફોર્મ્યુલા મળી નથી, કારણ કે બંને નેતાઓ પોતપોતાના સ્ટેન્ડ પર અડગ છે.
પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું અને બંને રાજ્યોમાં કોંગ્રેસનો વિજય થયો. માનવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં મોટી ભૂમિકામાં જોવા મળી શકે છે. અગાઉ તેમને યુપીના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. જોકે રાજ્યમાં હાર બાદ તેઓ હિમાચલ અને કર્ણાટક તરફ વળ્યા હતા. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની કમાન છોડી શકે છે, જેથી તેઓ અન્ય રાજ્યોમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે.