કાલોલના ઝાંપા બજાર વેરાઈ માતા મંદીર પાસે વરસાદી પાણી ભરાતા સ્થાનીકો પરેશાન : મોટા રોગચાળાનો ફેલાવવનો ભય

કાલોલના ઝાંપા બજાર વિસ્તારમા વરસાદી પાણીના નિકાલના અભાવે મીની તળાવ જેવો વિસ્તાર બની ગયો છે. કાલોલ થી જેતપુર, ઘોડા, તરવડા જવા માટેનો મુખ્ય આ રસ્તો છે અને જે રસ્તા ઉપર વેરાઈ માતા, સાંઈબાબા, હનુમાનજી, બળીયા બાપજી, શીવજીના મંદીર અને ગૌશાળા પણ આવેલા છે અને આ રસ્તેથી શ્રદ્ધાળુઓ નિયમીત રીતે દર્શનાર્થે આવતા જતા હોય છે. જેથી તેઓને આ ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. કાલોલ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામા આવે તો આ વિસ્તારની ગંદકી દૂર થાય તેમ છે.

કાલોલ નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લે તો સાચી સ્થિતીનો ખ્યાલ આવી શકે. હાલમાં ચાંદીપુરમ વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે અને મચ્છર જન્ય રોગો પણ થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં નજીક રહેતા મંદિરના પુજારી અને રાવળ ફળિયાના રહીશો કોઇ મોટા રોગચાળાનો ભોગ બને તે પહેલા પાલીકા દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.