
પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા માટે આનંદના સમાચાર છે. ભુજ-નલિયા વચ્ચેના 101 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ વિકાસથી હવે આ રૂટ પર માલગાડીઓ વિદ્યુત સંચાલિત થશે અને એપ્રિલ 2025થી મુસાફર ટ્રેન સેવા પણ શરૂ થવાની છે.
પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિફિકેશન અધિકારી સોમેશ્વર ગોરે જણાવ્યા મુજબ, આધુનિક ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો વિસ્તૃત અહેવાલ મુંબઈની ચર્ચગેટ સ્થિત રેલવે વડી કચેરીને મોકલી દેવામાં આવ્યો છે. મંજૂરી મળ્યા બાદ, મુંબઈથી રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ ભુજ-નલિયા ટ્રેકના વિદ્યુતીકરણ કાર્યનું નિરીક્ષણ કરશે.
આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં અધિકારીઓની ટીમ મુલાકાત લેશે અને એપ્રિલમાં સેવાની શરૂઆત થવાની સંભાવના છે. ગત વર્ષે જ આ રૂટ પર માલગાડી સેવા શરૂ થઈ હતી, જે હવે વિદ્યુત સંચાલિત થશે. આ વિકાસથી માત્ર પશ્ચિમ કચ્છના જ નહીં, પરંતુ અન્ય વિસ્તારોમાં વસતા કચ્છી લોકો માટે પણ મુસાફરી સરળ બનશે. નલિયાના લોકોને લાંબા સમય બાદ ફરી એક વખત ટ્રેનની મુસાફરીનો લાભ મળશે, જે આ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.