જૂનાગઢની વંથલી નગર પાલિકાની પઠાણી ઉઘરાણી, સરકારી અનાજના ગોડાઉનને સીલ કર્યું

જૂનાગઢ, જૂનાગઢની વંથલી નગરપાલિકાની પઠાણી ઉઘરાણી સામે આવી છે. બાકી વેરાની વસુલાત માટે વંથલી નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વંથલી નગરપાલિકાની ટીમો દ્વારા સરકારી અનાજના ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે.

વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યુ છે. છેલ્લા ઘણા સમયથી વેરો ન ભરતા અંતે વંથલી નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વંથલી સરકારી અનાજના ગોડાઉનનો ૧ લાખથી વધુ વેરો બાકી હતો. અનેક વાર નોટિસ આપવા છતા ભરવામાં આવતો ન હતો. અંતે નગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત માટે લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉનને સીલ કરવામાં આવ્યુ છે.

મહત્વનું છે કે ગોડાઉનમાંથી ૩૭ સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો પહોંચાડાય છે. તાલુકાની તમામ આંગણવાડીઓમાં પણ અહીંથી જ અનાજનો જથ્થો પહોંચે છે,ત્યારે સરકારી અનાજના ગોડાઉનને સીલ કરતા પુરવઠાની સપ્લાય અટકી જશે.