
બેંગ્લોર,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ભાજપના ૫૦ લાખ કાર્યકરો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. પીએમે કહ્યું કે જો કાર્યર્ક્તાઓ લોકોને બીજેપીને વોટ આપવા માટે અપીલ કરશે તો લોકો તેમને ચોક્કસ આશીર્વાદ આપશે. બૂથ જીતવાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે કાર્યકર બૂથ સાથે જોડાયેલા પરિવારોને જીતે છે, તેમના દિલ જીતે છે.૧૦ મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. પીએમ મોદી ૨૮ એપ્રિલે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. તેઓ ૭ મે સુધી લગભગ ૧૫ જાહેર સભાઓ અને રોડ શો કરશે.
મોદીએ વધુમાં કહ્યું કે ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે સૌથી મોટો તફાવત અભિગમનો છે. આપણા વિરોધીઓનો એજન્ડા સત્તા પર કબજો કરવાનો છે અને આપણો એજન્ડા ૨૫ વર્ષમાં દેશનો વિકાસ કરવાનો છે, તેને ગરીબીથી મુક્ત કરવાનો છે અને યુવાનોની ક્ષમતાને આગળ વધારવાનો છે. આગામી ૨૫ વર્ષમાં કર્ણાટકની વિકાસ યાત્રાનું નેતૃત્વ કરવા માટે ભાજપ યુવા ટીમ બનાવી રહી છે.
પીએમએ કહ્યું કે છેલ્લા ૯ વર્ષમાં જ્યાં પણ ભાજપની ડબલ એન્જિન સરકાર સત્તામાં છે ત્યાં ગરીબ કલ્યાણ યોજનાઓ ઝડપથી જમીન પર આવી છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી ત્યાં તેઓ કેન્દ્ર સરકારની કોઈપણ યોજના સફળ ન થાય તે માટે પ્રયાસ કરાય છે. કેટલાક લોકો આ યોજનામાં બિલકુલ જોડાતા નથી અને કેટલાક રાજ્યો એવા છે જે યોજનાનું નામ બદલી નાખે છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના જણાવ્યા અનુસાર પીએમ મોદી પોતાના પ્રચારની શરૂઆત બેલાગાવીથી કરશે. તેઓ કર્ણાટકના સૌથી મોટા જિલ્લાઓમાંના એક બેલાગવીમાં ચિકોડી, કિત્તુર અને કુડાચીની મુલાકાત લેશે. આ સિવાય પીએમ ઉત્તર કન્નડ જિલ્લાની પણ મુલાકાત લેશે. કર્ણાટકમાં ૧૦ મેના રોજ મતદાન થશે અને મતગણતરી ૧૩ મેના રોજ થશે.
આ વર્ષે પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર પહેલા આઠ વખત કર્ણાટકની મુલાકાત લીધી છે. છેલ્લી વખત તેઓ ૯ એપ્રિલે અહીં આવ્યા હતા. તે પહેલા, તેઓ ૨૫ માર્ચે ભાજપની રાજ્યવ્યાપી ’વિજય સંકલ્પ યાત્રા’ના સમાપન નિમિત્તે કર્ણાટકના દાવણગેરે પહોંચ્યા હતા અને રોડ શો પછી જાહેર સભાને સંબોધી હતી.