જો પત્ની શિક્ષિત અને નોકરી મેળવવા સક્ષમ હોય તો પતિએ ભથ્થું આપવાની જરૂર નથી: ઘરેલું હિંસાના કેસમાં કોર્ટનો નિર્ણય

મુંબઇ,અહીંની એક અદાલતે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ વચગાળાના ભરણપોષણ માટેની મહિલાની અરજીને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તે સુશિક્ષિત છે અને આવકના સ્ત્રોત શોધવા માટે સક્ષમ છે. ભરણપોષણની મંજૂરી આપવાથી પતિ પર નિર્ભરતાને પ્રોત્સાહન મળશે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્વયં-સિદ્ધ ત્રિપાઠી એક્ટ હેઠળ દર મહિને રૂ. ૫૦,૦૦૦ વચગાળાના ભરણપોષણની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.

ન્યાયાધીશે કહ્યું કે, ફરિયાદી (પત્ની) સારી રીતે શિક્ષિત છે અને પોતાના માટે આવકનો સ્ત્રોત શોધવામાં સક્ષમ છે, આવી સ્થિતિમાં ભરણપોષણની છૂટ આપવાથી માત્ર આળસ અને પતિ પર નિર્ભરતાને પ્રોત્સાહન મળશે. તેથી, હું તેની કમાણી ક્ષમતાને યાનમાં રાખીને કોઈ કમાણી ચૂકવવા માટે તૈયાર નથી.

કોર્ટે કહ્યું કે પતિની આવક અને બહેતર જીવનશૈલીને સાબિત કરવાને બદલે પત્નીએ એ બતાવવું પડશે કે તે તેના ખર્ચાઓ, જીવન જીવવા અને મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરવામાં અસમર્થ છે અને તેને એકલી છોડી દેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદીએ સાબિત કરવું પડશે કે કાં તો તેણી કમાણી કરતી નથી અથવા તેણીની આવક જીવનધોરણને જાળવી રાખવા માટે પૂરતી નથી જે તેણીને તેના સાસરિયામાં ઉપલબ્ધ હતી. કોર્ટે અવલોકન કર્યું કે હાલના કેસમાં પત્ની એમબીએ છે અને તેના પતિ જેટલી જ લાયકાત ધરાવે છે. જેમાં એમ પણ જણાવ્યું હતું કે, પતિ જેઓ ડોક્ટર છે તે હાલમાં બેરોજગાર છે.

બીજી તરફ, આના થોડા દિવસો પહેલાં એક કેસની સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું હતું કે પતિ ભીખ માંગે તો પણ તેણે પત્નીને ભરણપોષણ આપવું પડશે. આ તેની નૈતિક અને કાનૂની જવાબદારી છે. હકીક્તમાં, હાઈકોર્ટ ચરખી દાદરી ફેમિલી કોર્ટના નિર્ણય પર સુનાવણી કરી રહી હતી, જેમાં પતિને પત્નીને દર મહિને ૫,૦૦૦ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.