જો ભાજપે મુખ્યમંત્રી પદ આપવાનું વચન પાળ્યું હોત, તો તેઓએ બીજી પાર્ટી સાથે હાથ મિલાવવાની જરૂર ન પડી હોત.: ઉદ્ધવ ઠાકરે

મુંબઇ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં (એનસીપી) ‘પવાર વિરુદ્ધ પવાર’ ની ટક્કર છે. આ રાજકીય લડાઈ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ અજિત પવાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ રાહ જોઈ રહ્યા છે કે ભાજપ તેના નવા મતભેદોને કેવી રીતે સંભાળે છે. આ કટાક્ષ એવા સમયે કર્યો છે, જ્યારે અજિત પવાર મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાયા છે અને નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો ભાજપે અઢી વર્ષની રોટેશનલ ફોર્મ્યુલા મૂજબ મુખ્યમંત્રી પદ આપવાનું વચન પાળ્યું હોત, તો તેઓએ બીજી પાર્ટી સાથે હાથ મિલાવવાની જરૂર ન પડી હોત. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમિત શાહ અને તેમની વચ્ચે ૨૦૧૯માં નક્કી થયું હતું કે બંને પાર્ટી અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ સંભાળશે.

રિપોર્ટ્સ અનુસાર ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેમને એક રાષ્ટ્ર અને એક કાયદાને સ્વીકારવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ તેઓ એક રાષ્ટ્ર, એક પક્ષને સ્વીકારવા તૈયાર નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હવે પીએમ મોદીનો જાદુ ફિક્કો પડી ગયો છે. કર્ણાટક ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અહીં પીએમ મોદીએ બજરંગ બલી કી જયનો નારો આપ્યો હતો, પરંતુ ભગવાને તેનો જવાબ તેમની ગદાથી આપ્યો હતો.

શરદ પવાર અને તેમના ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવાથી એવી અટકળો વધી ગઈ છે કે જો મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો ભાજપે ઈમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે. માનવામાં આવે છે કે અજિત પવાર જૂથના સમર્થનને કારણે ભાજપ સરકારમાં ચાલુ રહેશે. અયોગ્યતાનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે લેવાનો છે, જેમણે શનિવારે શિંદે જૂથના ૪૦ ધારાસભ્યો અને ઉદ્ધવના ૧૪ ધારાસભ્યોને નોટિસ મોકલી હતી અને જવાબ મંગાવ્યા હતા.

શરદ પવારે શનિવારે નાસિકના યેવલાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વિશ્ર્વાસ કરવામાં ભૂલ કરવા બદલ લોકોની માફી માંગી હતી. છગન ભુજબળે કહ્યું કે, શરદ પવારના પરિવારમાં બળવા માટે તેમને દોષી ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું કે શરદ પવાર, તમે યેવલામાં કેમ આવ્યા? હું તે સમજી શક્યો નથી. હું બળવા માટે જવાબદાર નથી. તે તમારા પરિવારમાં થયું છે. તમે કેટલી જગ્યાએ માફી માગશો.