જિયા ખાન આત્મહત્યા કેસની સુનાવણી પૂર્ણ,

મુંબઇ,સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની વિશેષ અદાલતે અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. એક દાયકા પહેલા, ૩ જૂન, ૨૦૧૩ ના રોજ, જિયા તેની માતા રાબિયા ખાન દ્વારા મુંબઈના જુહુ વિસ્તારમાં તેમના ઘરની છત પર લટક્તી મળી હતી. અભિનેત્રીના રૂમમાંથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવ્યા બાદ તેણીના તત્કાલીન બોયફ્રેન્ડ અભિનેતા સૂરજ પંચોલીની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર જુહુ પોલીસે ધરપકડ કરી હતી. કહેવાય છે કે આ નોટમાં એ વાત સામે આવી છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. સૂરજ સામે આ સૌથી મોટો પુરાવો માનવામાં આવતો હતો.

જો કે, જિયાની માતા રાબિયા ખાને તપાસમાં ક્ષતિઓનો આક્ષેપ કર્યો હતો અને કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. રાબિયાની અપીલ સાંભળ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો. જો કે, સીબીઆઈએ પણ તારણ કાઢ્યું હતું કે તે હત્યાનો કેસ નથી, જેમ કે રાબિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તપાસમાં નિષ્કર્ષ પર આવ્યો કે તે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ હતો.

ત્યારપછી રાબિયાએ ફરી બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને માંગણી કરી કે જીયા અમેરિકી નાગરિક હોવાથી આ કેસ એફબીઆઈને સોંપવામાં આવે. જોકે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. સ્પેશિયલ સીબીઆઈ જજ એએ સૈયદે આ કેસમાં અંતિમ દલીલો સાંભળી હતી, જ્યારે રાબિયાના વકીલે બે સાક્ષીઓને પાછા બોલાવવાની અરજી કરી હતી, પરંતુ સીબીઆઈએ રાબિયાની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે પહેલા તમામ સાક્ષીઓની લાંબી તપાસ કરવામાં આવી છે.

સીબીઆઈએ એમ પણ કહ્યું કે રાબિયા પાસે વ્યક્તિગત રીતે આવી વિનંતી કરવાની સત્તા નથી. ન્યાયાધીશે સીબીઆઈ સાથે સંમત થયા અને રાબિયાની વિનંતીને ફગાવી દીધી. બીજી તરફ, સૂરજ પંચોલીએ ઓક્ટોબર ૨૦૧૪ના ફોરેન્સિક રિપોર્ટમાંથી ડેટા પણ માંગ્યો હતો અને ફોરેન્સિક નિષ્ણાત દ્વારા તેની તપાસ કરાવવાની પણ વિનંતી કરી હતી. સીબીઆઈએ પણ આ અરજીનો વિરોધ કર્યો હતો. હવે આ મામલામાં ૧૦ વર્ષ બાદ ૨૮ એપ્રિલે ચુકાદો જાહેર થવાની આશા છે.