
જયપુરમાં એક હાઇ સ્પીડ SUV કારે રસ્તા પર અફરાતફરી મચાવી દીધી હતી. શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં દારૂના નશામાં ડ્રાઈવરે 7 કિમી સુધી પૂરપાટ ઝડપે SUV હંકારી હતી. આરોપી ડ્રાઈવર કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખ ઉસ્માન ખાન હતો. જેને મંગળવારે સવારે પાર્ટી દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યો હતો.
બેકાબૂ કારે ચાલતા જઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સોમવારે મોડી સાંજે 9.30 વાગ્યાની આસપાસ બની હતી.પોલીસના જણાવ્યા અનુસાર, શહેરના MI રોડ પર એક બેકાબૂ કારે વાહનોને ટક્કર મારી રહી હોવાની પ્રથમ માહિતી મળી હતી. આ પછી કાર શહેરની સાંકડી શેરીઓમાં ઘૂસી હતી.
નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. અહીંથી લગભગ એક કિલોમીટર દૂર, કાર એક સાંકડી ગલીમાં ફસાઈ ગઈ અને લોકોની મદદથી પોલીસે આરોપી ડ્રાઈવરને દબોચી લીધો હતો. મંગળવાર સવારથી જ લોકો નાહરગઢ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ મૃતકો માટે વળતરની માંગ કરી રહ્યા છે.
કાર એક કલાક સુધી રસ્તા પર મોતની જેમ દોડી
એડ. ડીસીપી (ઉત્તર) બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવર, ઉસ્માન ખાન (62) એ લગભગ 500 મીટરના વિસ્તારમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું. નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષી માતાના મંદિર પાસે, આરોપી ડ્રાઇવરે પહેલા સ્કૂટર-બાઇકને ટક્કર મારી અને પછી રસ્તા પર પડી ગયેલા લોકોને કચડીને ભાગી ગયો. આરોપીઓએ પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલાં વાહનોને પણ ટક્કર મારી હતી.
એક મહિલા સહિત 3 લોકોના મોત
અકસ્માતમાં શાસ્ત્રીનગર રહેવાસી વિરેન્દ્ર સિંહ (48), મમતા કંવર (50), નાહરગઢ રોડ નિવાસી મોનેશ સોની (28), માનબાગ ઢોર શારદા કોલોની રહેવાસી મોહમ્મદ જલાલુદ્દીન (44) ઘાયલ થયાં છે.
આ દરમિયાન, સંતોષી માતા મંદિર વિસ્તારની રહેવાસી દીપિકા સૈની (17), વિજય નારાયણ (65), ઝેબુન્નિશા (50), અંશિકા (24) અને ગોવિંદરાવ જી માર્ગના રહેવાસી અવધેશ પારીક (37)ને પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડૉક્ટરોએ મમતા કંવર અને અવધેશને મૃત જાહેર કર્યાં હતાં. મંગળવારે સવારે અન્ય એક ઘાયલ વીરેન્દ્ર સિંહનું મોત નીપજ્યું.નાહરગઢ રોડ પર કારે ટક્કર મારતાં 7 ઘાયલ લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. તેમને સવાઈ માનસિંહ હોસ્પિટલ (SMS) ના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરોપી ઉસ્માન ખાનની પણ મોડી રાત્રે મેડિકલ તપાસ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના મતે, તે ખૂબ જ નશામાં હતો. આરોપી જયપુરના શાસ્ત્રી નગર ખાતેની રાણા કોલોનીનો રહેવાસી છે.તે વિશ્વકર્મા ઔદ્યોગિક વિસ્તારમાં લોખંડના પલંગ બનાવવાની ફેક્ટરી ચલાવે છે. ઉસ્માન ખાન લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. તે જયપુર જિલ્લા કોંગ્રેસનો ઉપપ્રમુખ હતો.
સોમવારે સાંજે બનેલી આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. આ કારણે, નાહરગઢ રોડ અને આસપાસના વિસ્તારોમાં ચાર પોલીસ સ્ટેશનના પોલીસને તહેનાત કરવામાં આવ્યા હતા.

પોલીસે કાર રોકી, પણ લોકોની ભીડ જોઈને ફરી ભાગવા ગયો
મોટાભાગના લોકો નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાયલ થયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ડ્રાઇવરે નાહરગઢ પોલીસ સ્ટેશન પાસે સ્કૂટરને ટક્કર મારી હતી. તેમાં સવાર ત્રણ લોકો ઘાયલ થયા હતા.
ત્યારબાદ, તેણે 200 મીટર આગળ એક સ્કૂટર અને એક બાઇકને ટક્કર મારી. ત્યારબાદ તેણે સંતોષી માતાના મંદિર પાસે લોકોને ટક્કર મારી. અકસ્માત પછી, લોકો તેને પકડવા માટે પાછળ દોડ્યા.
સાંકડા રસ્તાઓને કારણે, થોડે દૂર ગયા પછી પોલીસ જીપે કારને રોકી દીધી. સેંકડો લોકો ભેગા થયા. પોલીસની હાજરીમાં લોકોની ભીડ જોઈને ડ્રાઈવર ઉસ્માન ફરીથી કાર લઈને ભગવા ગયો.
પોલીસે તેને તેની કાર સાથે લગભગ એક કિલોમીટર દૂર સંજય સર્કલ પરથી પકડી લીધો.
