’જન ગણ મન – વંદે માતરમ ’ને સમાન દરજ્જો, હાઈકોર્ટનો કેન્દ્ર સરકારે આદેશ શૈક્ષણિક સંસ્થાઓમાં જન ગણ મન અને વંદે માતરમનું ગાન કરવામાં આવે


નવીદિલ્હી,
કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જનહિત અરજીનો જવાબ આપતાં આ વાત કહી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, વંદે માતરમને પણ તે જ દરજ્જો અને સન્માન મળવું જોઈએ જે રાષ્ટ્રગીતને આપવામાં આવે છે. આ સિવાય રાષ્ટ્રગીતના સન્માન અંગે માર્ગદશકા તૈયાર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. તેના પર હાઈકોર્ટે ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને કાયદા મંત્રાલયને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો.

આ અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવે કે દરેક કામકાજના દિવસે શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જન ગણ મન અને વંદે માતરમનું ગાન કરવામાં આવે. આ સિવાય ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ સભામાં પસાર કરાયેલા ઠરાવ અનુસાર, બંનેના સન્માન માટે માર્ગદશકા નક્કી કરવી જોઈએ. અરજદાર અશ્ર્વિની કુમાર ઉપાયાયે કહ્યું હતું કે, ભારત રાજ્યોનો સંઘ છે. આ ફેડરેશન નથી. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે એક જ રાષ્ટ્રીયતા છે અને તે છે ભારતીયતા. વંદે માતરમનું સન્માન કરવું એ આપણા બધાની જવાબદારી છે.
તેમણે કહ્યું હતું કે, દેશને એક રાખવા માટે સરકારની જવાબદારી છે કે રાષ્ટ્રીય નીતિ બનાવવી જેથી જન ગણ મન અને વંદે માતરમનું સન્માન થઈ શકે. અરજદારે કહ્યું હતું કે વંદે માતરમ કઈ રીતે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે તે અગમ્ય છે જ્યારે બંનેને બંધારણના ઘડવૈયાઓએ પસંદ કર્યા છે. જન ગણ મનમાં રાષ્ટ્રની ભાવના સામે આવે છે. તે જ સમયે, વંદે માતરમ એ રાષ્ટ્રના ચરિત્ર, તેની જીવનશૈલીની અભિવ્યક્તિ છે. દરેક ભારતીય વંદે માતરમનું સન્માન કરે તે જરૂરી છે. એવું ન થઈ શકે કે કોઈ વંદે માતરમ ગાન કરવાની ના પાડે.

અશ્ર્વિની ઉપાયાયે પોતાની અરજીમાં કહ્યું હતું કે, ’વંદે માતરમ સમગ્ર દેશનો વિચાર હતો. આ સ્વતંત્રતા ચળવળની અભિવ્યક્તિ હતી. શહેર-શહેરની રેલીઓમાં વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા. એક સમયે વંદે માતરમના જય ઘોષથી ડરીને અંગ્રેજોએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલું જ નહીં, ક્રાંતિકારીઓને તેનું ઉલ્લંઘન કરવા બદલ જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ’રવીન્દ્રનાથ ટાગોરે ૧૮૯૬માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં વંદે માતરમ ગાયું હતું. આ પછી ૧૯૦૧માં કોંગ્રેસના સેશનમાં દક્ષિણ ચરણ સેને પણ વંદે માતરમ ગાયું હતું. એટલું જ નહીં ૧૯૦૫માં બનારસમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ફરી એકવાર સરલા દેવીએ વંદે માતરમ ગાયું હતું. લાલા લજપત રાયે લાહોરથી આ જ નામનું અખબાર બહાર પાડ્યું હતું.