જામનગરમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિનો કાંટો કાઢ્યો:વિજરખી ડેમ પાસે જીપ કમ્પાસથી પીછો કરી બુલેટને ટક્કર મારી, યુવકનું માથા અને શરીરે ગંભીર ઈજાથી મોત

જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. બુલેટસવાર પતિને પત્નીએ પ્રેમીને ટીપ આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો, આ ઘટના વિજરખી ડેમ નજીક બની હતી, જે લગ્નેતર સંબંધોના કારણે થયેલી સમાજ માટેની ગંભીર સવાલ બની છે.

ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ કેસમાં મરણ જનાર રવિ ધીરજલાલ મારકણાની પત્ની રીંકલબેન અને તેના પ્રેમી અક્ષય છગન ડાંગરિયાના આડા સંબંધો આ હત્યાના મુખ્ય કારણ છે.

ભત્રીજાની હત્યા થતાં કાકાએ ન્યાય માગ્યો મૃતકના કાકા પરેશ મારકણાએ જણાવ્યું હતું કે કાલાવડથી જામનગર આવતા અકસ્માત નડ્યો હતો. ત્યારબાદ અમે તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ બધું જાણી જોઈને પહેલેથી કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આ બાબતે અમને ન્યાય જોઈએ છે. મારા કાકાના છોકરા પાસે બુલેટ હતું અને પાછળ ગાડી હતી. કારણ પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું હતું કે પ્રેમ પ્રકરણ હોય તેવું માલુમ પડ્યું છે. ક્યારે અમને કાંઈ જણાવ્યું નહોતું પણ અંદરને અંદર ખબર હોય તો અમને ધ્યાનમાં નથી. લગ્નને સાતથી આઠ વર્ષ થયા, ત્યારે તેમનો બાબો છ વર્ષનો છે.

રવિવારે (6 એપ્રિલે)સાંજે રવિ તેની બુલેટ મોટરસાઈકલ (GJ-27-DJ-9310) પર કાલાવડ જવા નીકળ્યો હતો. રીંકલ પાસે આ માહિતી હતી અને તેણે આ જાણકારી અક્ષયને આપી હતી. અક્ષય તેની જીપ કમ્પાસ (GJ-20-AQ-8262)માં રવિનો પીછો કરવા લાગ્યો હતો. વિજરખી ડેમ નજીક સાંજે પોણા પાંચ વાગ્યે અક્ષયે પોતાની કારથી રવિની બુલેટને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રવિને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતક રવિ ધીરજલાલ મારકણા (ઉંમર 30)ની પત્ની રીંકલના અક્ષય છગન ડાંગરીયા સાથે પ્રેમ સંબંધ હતા. આ સંબંધના કારણે રીંકલ અને રવિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ ઝઘડાઓએ અંતે રીંકલ અને અક્ષયને રવિની હત્યા કરવાનું કાવતરું ઘડવા પ્રેરિત કર્યા હતા.

મૃતકના પિતા ધીરજલાલ મારકણાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખે ઘટનાની તપાસ શરૂ કરી છે. આરોપી રીંકલ તથા અક્ષય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આ અકસ્માત નહીં, પરંતુ પૂર્વ આયોજિત હત્યાનું કાવતરું હતું. હાલ પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટના કળિયુગમાં વધી રહેલા લગ્નેતર સંબંધો અને તેના કારણે થતી હિંસક ઘટનાઓની ગંભીરતા દર્શાવે છે. આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક છે અને સંબંધોમાં વિશ્વાસ અને નૈતિકતાના અભાવને ઉજાગર કરે છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, અને આરોપીઓને ઝડપથી પકડીને કાયદાના ચંગુલમાં લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

DySP રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રવિની પત્ની રીંકલબેનના અક્ષય ડાંગરિયા સાથે આડા સંબંધો હતા. આ સંબંધો રવિના જીવનમાં વિઘ્નરૂપ બનતા હતા. રીંકલબેન અને અક્ષયે મળીને રવિભાઈને માર્ગમાંથી દૂર કરવા માટે એક કાવતરું ઘડ્યું હતું. રીંકલબેન દ્વારા રવિભાઈની લોકેશન ટેલીફોનિક સંપર્ક દ્વારા અક્ષયને આપવામાં આવી હતી. આ માહિતીના આધારે અક્ષયે રવિભાઈને ફોલો કરીને તેમની બુલેટને ટક્કર મારી હતી.

રવિના પિતા દ્વારા રીંકલબેનની પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેમણે આ મામલે આનાકાની કરી હતી, પરંતુ અંતે કબુલાત આપી કે, “અમે છૂટા થવા માગતા હતા અને અમારા આડા સંબંધો આમાં વિઘ્નરૂપ બનતા હતા. આથી, અમે રવિને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.”

ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું કે, આ કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. હાલ પંચે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની તપાસ ચાલી રહી છે.