જમ્મુ-કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ પહેલા વિધાનસભા ચૂંટણી સુનિશ્ચિત કરવામાં આવે,સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે કલમ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર પોતાનો નિર્ણય સંભળાવ્યો. પાંચ સભ્યોની બંધારણીય બેંચ દ્વારા આ મામલે ત્રણ અલગ-અલગ નિર્ણય લેવામાં આવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે નિર્ણય વાંચતા કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય અકબંધ રહેશે. આ સાથે, તેમણે અરજદારોની દલીલોને પણ નકારી કાઢી હતી, જેમાં તેઓએ જમ્મુ-કાશ્મીરમાંથી રાજ્યનો દરજ્જો છીનવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો વિરોધ કર્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જમ્મુ-કાશ્મીર માટે ભવિષ્યનો રોડમેપ પણ આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનું રાજ્યનો દરજ્જો જલ્દીથી પુન:સ્થાપિત થવો જોઈએ. અહીં પણ ચૂંટણી માટે વહેલી તકે પગલાં લેવા જોઈએ. ચૂંટણી પંચને નિર્દેશ આપતાં તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ પહેલા વિધાનસભા ચૂંટણી સુનિશ્ચિત કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરતી વખતે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ ચૂંટણી યોજવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સુરક્ષાની સ્થિતિ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે તેનો નિર્ણય લેવામાં આવશે. ઝ્રઈઝ્રએ કહ્યું, જ્યારે પણ પંચને યોગ્ય સમય મળશે ત્યારે ચૂંટણી યોજવામાં આવશે. જોકે, પંચ તરફથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે આગામી વર્ષની શરૂઆતમાં લોક્સભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને વિધાનસભા ચૂંટણી માટે વધુ રાહ જોવી પડશે.

૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી ત્યારથી ચૂંટણીઓ યોજાઈ નથી. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ૨૦૧૪માં યોજાઈ હતી. તત્કાલિન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના રાજીનામા બાદ જૂન ૨૦૧૮માં આ સરકાર પડી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. આ પછી કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ હટાવી દીધી.