ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કેસમાં તથ્ય પટેલના મિત્રો જ કોર્ટમાં સાક્ષી બનશે

અમદાવાદ, અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કેસમાં તથ્ય પટેલના મિત્રો જ સાક્ષી બનશે. જે મિત્રો સાથે બેસી મોજ કરતા હતા. તે જ મિત્રો હવે તથ્યના રાઝ ખોલશે. અકસ્માત સમયે કારમાં સવાર મિત્રો હવે કોર્ટમાં સાક્ષી બનશે. અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના ૫ મિત્રો જ સાક્ષી બનશે.

કારમાં સવાર શ્રેયા, વનિ, માલવિકા, શાન અને આર્યનના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એ.પરમાર સમક્ષ સીઆરપીસી ૧૬૪ મુજબના નિવેદન લેવાયા છે. તમામ સાક્ષીઓના વીડિયોગ્રાફી સાથે નિવેદન નોંધવામાં આવ્યા છે. તો તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતા સેન્ટ્રલ જેલમાં આરોપી તથ્યને કેદી નંબર ૮૬૮૩ અપાયો છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કેદી નંબર ૮૬૨૬ અપાયો છે. આ બંને બાપબેટાની જોડીને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને જેલને હવાલે કરવામાં આવ્યો છે.