
કીવ,
યુક્રેનથી યુદ્ધ શરૂ થયા બાદ રશિયા અને ઈરાન વચ્ચેની દુશ્મની મિત્રતામાં બદલાઈ ગઈ. આનું પરિણામ એ આવ્યું છે કે ઈરાન બોટ અને સ્ટેટ એરલાઈન્સનો ઉપયોગ કરીને રશિયાને ડ્રોન મોકલી રહ્યું છે. સૂત્રોએ આ વાતનો ખુલાસો કર્યો છે. સૂત્રોએ કહ્યું છે કે, ઈરાને રશિયાને યુક્રેન સાથે યુદ્ધ લડવા માટે એક નવા પ્રકારના અદ્યતન લાંબા અંતરની સશસ્ત્ર ડ્રોન આપ્યા છે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં રશિયન અધિકારીઓ અને ટેકનિશિયને તેહરાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઈરાને વ્લાદિમીર પુતિનની નેવીને ઓછામાં ઓછા ૧૮ ડ્રોન આપ્યા.
રશિયન અધિકારીઓને ઈરાની ટેકનોલોજીની સંપૂર્ણ શ્રેણી બતાવવામાં આવી હતી. પ્રવાસ દરમિયાન, ૧૦ સભ્યોના રશિયન પ્રતિનિધિમંડળે ૬ મોહજેર ડ્રોન પસંદ કર્યા. તેની રેન્જ લગભગ ૨૦૦ કિમી છે અને તેની દરેક પાંખમાં બે મિસાઈલ લઈ જવાની ક્ષમતા છે. આ સિવાય તેણે ૧૨ ‘શહીદ-૧૯૧’ અને ‘શહીદ-૧૨૯’ ડ્રોન પસંદ કર્યા હતા. તેઓ હવાથી જમીન પર પણ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
સૂત્રોએ જણાવ્યું કે યુક્રેન પર હુમલા દરમિયાન રશિયાએ ઈરાનમાં બનેલા ‘શહીદ ૧૩૧’ અને ‘શહીદ ૧૩૬’ ડ્રોનનો પણ ઘણી વખત ઉપયોગ કર્યો છે. વાસ્તવમાં, આવા ખુલાસાથી ઈરાન અને રશિયાની મિત્રતા છતી થાય છે. આ બંને દેશો અમેરિકાને પોતાનો દુશ્મન માને છે. જણાવી દઈએ કે આ યુદ્ધ દરમિયાન અમેરિકાએ પણ યુક્રેનને ઘણી મદદ કરી છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં, યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાને જૂનમાં રશિયાને ‘શાહિદ-૧૯૧’ અને ‘શાહિદ-૧૨૯’ ડ્રોન બતાવવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે તેહરાન આ ડ્રોન મોસ્કોને વેચશે.
સપ્ટેમ્બરથી યુક્રેનમાં મોહજેર-૬ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. નવેમ્બરમાં, અધિકારીઓએ ગાડયનને કિવમાં ઈરાની ડ્રોન બતાવ્યું. ઓક્ટોબરમાં રશિયાએ ‘શહીદ-૧૩૬’ ડ્રોન વડે કિવ પર હુમલો કર્યો હતો. આ ડ્રોન રેલવે સ્ટેશન પાસેના એક ઘરમાં ઘૂસી ગયું હતું અને વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા. પરંતુ જાન્યુઆરીમાં યુક્રેનિયન એરફોર્સે કહ્યું હતું કે તેણે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોટા પાયે ૪૫ ડ્રોન તોડી પાડ્યા હતા.
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું હતું જે આજ સુધી ચાલુ છે. બંને દેશો વચ્ચેનું આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે કહેવું મુશ્કેલ છે. ભૂતકાળમાં પણ રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. રશિયાએ ઝાપોરિઝિયામાં એક કલાકમાં ૧૭ મિસાઈલો છોડી હતી. ખાકવ સહિત અનેક શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ન તો પુતિન પીછેહઠ કરવા તૈયાર છે કે ન તો ઝેલેન્સ્કી આ યુદ્ધમાં હાર સ્વીકારવા તૈયાર છે. આવી સ્થિતિમાં આ યુદ્ધ લંબાવાઈ શકે છે. આ ૨૪ ફેબ્રુઆરી એ યુદ્ધનું એક આખું વર્ષ હશે.