ઇડર-વડાલીમાં કરા સાથે વરસાદથી ખેતીમાં નુક્સાન: ધારાસભ્ય રમણ વોરાએ કૃષિમંત્રીને નુકસાનનું વળતર કિસાનોને આપવા માટે પત્ર લખ્યો

ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં શનિવારે કમોસમી વરસાદ વરસવાને લઈ મોટું નુક્સાન ખેતીમાં સર્જાયાના ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસ્યો હતો. જેને લઈ ઉભા પાકનો સોથ વળી ગયાના દ્રશ્યો અનેક વિસ્તારોમાં ખેતરમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ઇડરના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અયક્ષ રમણલાલ વોરાએ રાજ્યના કૃષિ પ્રધાનને પત્ર લખીને નુક્સાન વળતર માટે રજૂઆત કરી છે.

સાબરકાંઠાના ઇડર અને વડાલી વિસ્તારમાં પોણા ઇંચ કરતા વધારે વરસાદ કરા સાથે વરસ્યો હતો. કરાને લઈ વિસ્તારમાં ખેતરો અને રસ્તાઓ પર સફેદ ચાદર છવાઇ ગઇ હતી. જેના વીડિયો પણ ખૂબ વાયરલ થયા હતા. જે વીડિયો જોઈને જ વિસ્તારના ખેડૂતોની સ્થિતિ સમજી શકાય એવી હતી. અનેક ખેતરોમાં પાકનો સોથ વળી ગયાનુ નજર આવી રહ્યુ હતુ.

દરમિયાન સ્થાનિક ઈડર અને વડાલી વિસ્તારના ખેડૂતોને નુક્સાનને લઈ ક્સિાન સંઘ દ્વારા ધારાસભ્ય રમણલાલ વોરાને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ રમણલાલ વોરાએ આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાનને સંબોધીને રજૂઆત કરી છે. મુખ્યપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી છે કે, વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ખેત પાકોને નુક્સાન વળતર આપવામાં આવે.

પત્રમાં લખી સરકારને એ પણ બાબત ધ્યાને મુકી હતી કે, સ્થાનિક ખેડૂતોને થયેલા નુક્સાનને લઈ ભારતીય જનતા પાર્ટીના ક્સિાન મોરચો અને ક્સિાન સંઘ દ્વારા આ અંગેની રજૂઆત થઈ રહી છે. આમ તેઓની રજૂઆત સાથે ધારાસભ્ય રમણલાલ વોરાએ પણ ખેતી પાકમાં નુક્સાનને લઈ વળતર આપવા અંગે રજૂઆત કરી છે. શનિવારે વાતાવરણમાં પલટા સાથે ધોધમાર કમોસમી વરસાદ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો હતો. ચામુ, ફલાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પવન ફૂંકાવા સાથે વરસ્યો હતો. જેને લઈ ઘઉં, રાયડો, એરંડા અને કપાસ સહિતના પાકોમાં મોટા નુક્સાનની ભીતિ સર્જાઈ હતી. ખેડૂતોને ઘઉં સહિતનો રવિ સિઝનનો પાક તૈયાર થઈ ચૂક્યો હતો અને જેને લઈ હવે પાકથી હાથ ધોવાનો વારો આવ્યો છે.

ઇડર અને વડાલી વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ઘઉંનો તૈયાર પાક આડો પડી જવા પામ્યો છે. આ ઉપરાંત અન્ય રવિ પાકોમાં પણ વરસાદને લઈ નુક્સાન સર્જાયુ છે. તો શાકભાજી પાકોમાં ફૂગ સહિતની સમસ્યાની ભીતિ સર્જાઈ છે. આમ કમોસમી વરસાદને લઈ ખેડૂતોની સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. ખેડૂતોને વાવણી, બિયારણ, દવા ખાતર અને મજૂરી પણ વરસાદને લઈ ધોવાઇ જતા મોટું નુક્સાન સર્જાયુ છે.