હું માં ગંગાની સામે અહંકારથી નહીં, શીશ ઝુકાવીને આવ્યો છુ: રાહુલ ગાંધી

વારાણસી, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વડાપ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસીમાં પહોંચી હતી. અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કર્યા હતા.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે જેનો આજે ૩૫મો દિવસ છે. આ યાત્રા મણિપુરથી શરુ થઈને આસામ, પશ્ચિમ બંગાળ, ઝાંરખંડ, છત્તીસગઢ તેમજ બિહાર થઈને ઉત્તર પ્રદેશમાં મોદીના મતવિસ્તાર કાશીમાં પહોંચી ગઈ હતી.

આ દરમિયાન રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ’દેશને એક કરવો એ જ આ દેશની દેશભક્તિ છે. હું તમને દેશની શક્તિ વિશે જણાવવા માંગુ છું. હું માં ગંગાની સામે અહંકારથી નહીં, શીશ ઝુકાવીને આવ્યો છું.’

આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે ’અમે ૪૦૦૦ કિલોમીટરની ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને વેપારીઓ મને મળ્યા હતા અને તેમની દુર્દશા વ્યક્ત કરી હતી.’ કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે ’હું બીજેપી અને આરએસએસના લોકોને પણ મળ્યો, પરંતુ આખી યાત્રા દરમિયાન મને ક્યાંય નફરત દેખાઈ નહીં.’ રાહુલ ગાંધીએ બરોજગારીના મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ’દેશમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે, પરંતુ વડાપ્રધાન મોદીને આ દેખાતું નથી.’