ફતેપુરા ખાતે ડોક્ટર હિતેશ પટેલના વરદાન હોસ્પિટલમાં ચાલુ સારવારે 26 વર્ષીય સગર્ભા મહિલાનું મોત

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ડોક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ કાયમ કંઈક ને કંઈક વિવાદો માં ઘેરાયેલી જ રહે છે. આ હોસ્પિટલમાં બે ત્રણ મહિનાના સમયગાળામાં ચાલુ સારવાર દરમિયાન મહિલાઓના મોત નિપજવાના બનાવો બનતા રાહે છે.હાલમાં ત્રણેક મહિના પહેલા જ ફતેપુરા તાલુકાના એક ગામની મહિલાનું આજ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજવાની ઘટનાની શાહી તો હજી સુકાઈ નથી ત્યાં ફરી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.અને સમગ્ર ફતેપુરા તાલુકામાં આ ડોક્ટર હિતેશ પટેલની લાયકાત ઉપર સવાલો ઉઠવા પામ્યા છે.પરંતુ ડોક્ટર હિતેશ પટેલ દ્વારા સામ-દામ દંડ અને ભેદ ની નીતિ અપનાવીને આવા કિસ્સાઓ દફનાવી દેવામાં આવે છે.ત્યારે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

  • ફતેપુરા ખાતે ડોક્ટર હિતેશ પટેલના વરદાન હોસ્પિટલમાં ચાલુ સારવારે 26 વર્ષીય સગર્ભા મહિલાનું મોત
  • ડોક્ટર હિતેશ પટેલ હોસ્પિટલ અને હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેઢા મૂકીને સ્ટાફ સાથે ફરાર થયો
  • મૃતક મહિલાના પતિએ ફતેપુરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

ફતેપુરા તાલુકાના વાંગડ ગામના 28 વર્ષીય યુવક અશ્વિન નારસિંગ પારગી નું આજથી દોઢેક વર્ષ પહેલા ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ ગામે ચાંદલી ફળિયામાં રહેતી મીનાક્ષી સાથે લગ્ન થયા હતા. લગ્નજીવનના ફળ સ્વરૂપે આ મહિલા સગર્ભા બની હતી અને તેની સારવાર ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ડોક્ટર હિતેશ પટેલના વરદાન હોસ્પિટલમાં ચાલતી હતી અને હાલમાં આ મહિલાને પાંચ માસનો ગર્ભ હતો 

ત્યારે તારીખ 25 એપ્રિલ 2024 અને ગુરૂવારના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે ફતેપુરા તાલુકાના વાંગડ ગામની આ 26 વર્ષીય આ મહિલા મીનાક્ષીને ગુપ્ત ભાગે લોહીનો પ્રવાહ ચાલુ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ફતેપુરા ખાતે આવેલ ડોક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને તેની સારવાર ચાલુ હતી તે દરમિયાન રાત્રે આશરે આઠેક વાગ્યા સુધી તે કમ્પલેટ બોલતી ચાલતી હતી અને ત્યારબાદ આશરે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં હોસ્પિટલના તબીબે આ મહિલાના પતિને બોલાવીને જણાવ્યું હતું કે તમારી પત્નીને વધુ સારવાર માટે બીજા હોસ્પિટલ ખાતે લઈ જવા ની જરૂર છે તેમ કહીને દર્દીને પોતાના હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવા માટે દર્દીના પતિને ગાડીની વ્યવસ્થા કરી આપી હતી.તે વખતે આ મહિલાને ગાડીમાં બેસાડવા માટે લઈ જવા મહિલાને ઉઠાડતા આ મહિલા બોલતી અને ચાલતી ન હતી અને શ્વાસ પણ લેતી ન હતી જેથી આ મહિલાના પતિને શક જતા આ બાબતે ડોક્ટરને જાણ કરી ત્યારે તે સમયે તબીબ ને મહિલા દર્દીનું મોત થયું હોવાનું મહિલાના પતિને જાણ થઈ ગઈ હોવાનું માલુમ પડતાં તરત જ  આ તબીબ હોસ્પિટલ અને હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેઢાં મૂકીને ફરાર થઈ જવા પામ્યો હતો.

ત્યારે આ મૃતક મહિલાના પતિએ પોતાના પરિવારજનોને બોલાવ્યા હતા ત્યારે આ યુવકના પરિવારજનો એ આવીને જોતા આ 26 વર્ષીય મહિલાનું મોત નીપાજ્યું હોવાનું માલુમ પડ્યું હતું.જેના પગલે આ મૃતક મહિલાના પતિએ રાત્રે 10:30 વાગ્યે ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોતાની પત્નીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લેખિત ફરિયાદ નોંધાવી છે.ઘટનાની ગંભીરતા સમજીને ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ જે બી તડવી એ તાત્કાલિક પગલાં લઈને ફતેપુરા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખીને તેમજ ફતેપુરા મામલતદાર ની ટીમને સાથે રાખીને ફતેપુરા ખાતે આવેલ આ ડોક્ટર હિતેશ પટેલના વરદાન હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને લાશનું પંચનામું કરીને લાશને ફોરેન્સિક સાયન્સ પોસ્ટમોર્ટમ માટે આગળ મોકલવાની તજવીજ હાથ ધરી છે તેમજ આ ફરાર ડોક્ટરને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હાલમાં તો ફતેપુરા પોલીસે આ સમગ્ર બાબતે અકસ્માત મોતના કાગળિયા કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેપુરાના આ બેજવાબદાર ડોક્ટર હિતેશ પટેલ દવાખાનામાં અન્ય દાખલ દર્દીઓને રેઢા મૂકીને સ્ટાફ સાથે ભાગી છુટતા ફતેપુરાના માવતર હોસ્પિટલના તબીબ ડોક્ટર ગૌરવ બરજોડે વરદાન હોસ્પિટલ ખાતે આવીને દાખલ દર્દીઓની તપાસ કરી હતી અને દર્દીઓને પોતાનો સંપર્ક નંબર આપીને રાત્રે કોઈ પણ સમયે તબીબ ની જરૂર જણાય તો પોતાને ફોન કરીને જાણ કરવા માટે જણાવ્યું હતું.રાત્રિના સમયે આ દવાખાનામાં 2 દર્દીઓ દાખલ હતા જેમાંથી એક દર્દી સારવાર પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી પોતાની મરજીથી ચાલ્યું ગયું હતું જ્યારે અન્ય એક દર્દી સિઝેરિયન ઓપરેશન કરેલ હોવાથી દવાખાના ખાતે જ રહ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ ફતેપુરા નગરના તેમજ આજુબાજુના લોકોને થતા ફતેપુરા ખાતે આવેલ ડોક્ટર હિતેશ પટેલની આ વરદાન હોસ્પિટલ ખાતે લોક ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.આ તબીબ પોતે ઉચ્ચ રાજકીય લાગવગ ધરાવતો હોવાનું અને પોતાનું કોઈ પણ વ્યક્તિ તેનું કાઈ પણ બગાડી શકે તેમ નથી તેવી કાયમ ડંફાસો મારતો જ રહે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે કે પાછું ભીનું સંકેલી લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું..

:: જે.બી.તડવી,પી.એસ.આઇ,ફતેપુરા પોલીસ સ્ટેશન ::

 ગુરૂવાર રાત્રિના ફતેપુરા વરદાન હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની અમોને જાણ થતા તાત્કાલિક અમો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં મૃતક મહિલાના પરિવાર તરફથી આક્ષેપ કરવામાં આવતો હતો કે, ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યું છે.જે રજૂઆત સાંભળતા અમોએ લાશનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી બાદ લાશને પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી છે.હાલ જે ઘટના બની છે તે કેવી રીતે બની છે તે કહી શકાય નહીં.પી.એમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવી શકે.

રિપોર્ટર : વિનોદ પંચાલ,સંજય કલાક