હીરના ધોરણ-૧૦ માં ૯૯.૭૦ પર્સન્ટાઈલ આવ્યાની ખુશી બે દિવસ પણ ન રહી, બ્રેઈન હેમરેજથી ઘેટિયા પરિવારે દીકરી ગુમાવી

રાજકોટ,\ સમાજમાં ઘણીવાર એવું જોવા મળે છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને માનવતાવાદી કાર્યને લોકો પ્રાધાન્ય આપતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો. ૧૬ વર્ષની કુમારી હીર પ્રફુલભાઈ ઘેટીયા બ્રેઇન ડેડ થતા પરિવારે ભારે હૈયે દીકરીના દેહને પંચમહાભૂતમાં વિલીન થતા પહેલા અમુલ્ય ચક્ષુદાન અને દેહદાન થકી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

૧૬ વર્ષની કુમારી હીર પ્રફુલભાઈ ઘેટીયાને એક મહિના પહેલા બ્રેઈન હેમરેજ થયું હતું અને તે માટે મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેની તબિયત સારી થતા હોસ્પીટલમાંથી રજા આપી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. પરંતુ ઘરે ગયા પછી તેણે અચાનક શ્ર્વાસ અને હૃદયની તકલીફ થતા તાત્કાલિક તેમને ફરી હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી.

આઈસીયુમાં સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા મગજના એમઆરઆઈ રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે, હિરનું મગજ ૮૦ થી ૯૦ ટકા ભાગ કામ નહોતો કરતો આથી આઈસીયુમાં દાખલ કરી અને સઘન સારવાર આપવામાં આવી હતી. પરંતુ ડોક્ટર અને સગા વાલાઓની અર્થાત મહેનત પછી પણ દર્દીની તબિયતમાં કોઈ સુધારો ન થયો. તબીબોએ કુમારી હિરને ૧૫ મે ૨૦૨૪ ના રોજ મૃત જાહેર કરી. નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા-પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લઇ સમાજ ને પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો.

કુમારી હીર અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતી અને આ વર્ષે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી અને તાજેતરમાં જ તેનું પરીક્ષાનું પરિણામ ખુબ જ સરસ ૯૯.૭ રેન્કિંગ આવેલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુમારી હીરનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું. જેથી જેને દાનમાં ચક્ષુ મળેલ છે તેની પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ ડોક્ટર બનવાનું કુમારી હીરનું મહત્વકાંક્ષી સ્વપ્ન સાકાર કરે અને દેહદાન થકી મેડીકલના વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં સફળતાના શિખરો સર કરે.