
નવીદિલ્હી, ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર પૈકી એક છે. તેની પાછળનું એક કારણ ટીમ ઈન્ડિયામાં હાજર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છે, જેના પર બધાની નજર ટકેલી છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા સ્ટ્રેસ ફ્રેક્ચરની સમસ્યાને કારણે બુમરાહ છેલ્લી વખત રમી શક્યો ન હતો અને ત્યાર બાદ તેને ટીમમાં વાપસી કરતા એક વર્ષથી વધુ સમય લાગ્યો હતો. જો કે, તે પછી બુમરાહ અત્યાર સુધી સતત રમી રહ્યો છે, જેમાં તેણે વર્ષ ૨૦૨૩માં રમાયેલા વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે બોલિંગ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ટી-૨૦ વર્લ્ડ કપની શરૂઆત પહેલા બુમરાહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે તે હવે પોતાના પર વધુ દબાણ નથી લેતો.
જસપ્રિત બુમરાહે આઈસીસીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઈજામાંથી પરત ફર્યા બાદ મેં શક્ય તેટલી રમતનો આનંદ લેવાનો પ્રયાસ કર્યો છે. મેં પ્રક્રિયા પર ધ્યાન આપ્યું કારણ કે કેટલીક વસ્તુઓ તમારી રીતે જશે પરંતુ કેટલીક વસ્તુઓ નહીં. હવે મને સમજાયું છે કે મેં આ રમત રમવાનું શરૂ કર્યું કારણ કે મને તે ગમે છે અને તેથી જ હવે હું પરિણામ પર નહીં પણ મારી રમત પર વધુ ધ્યાન આપું છું. આનાથી તમે તમારા પરનું દબાણ ઓછું કરી શકો છો અને રમતનો પૂરો આનંદ માણી શકો છો.
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં જસપ્રીત બુમરાહ મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ સાથે ભારતીય ટીમના ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. આવી સ્થિતિમાં, યુવા ખેલાડીઓને કંઈક શીખવવા અંગે, બુમરાહે કહ્યું કે તમે તેમને વધુ શીખવવાની કોશિશ ન કરી શકો. આ એવી વસ્તુ છે જે મેં મારી ક્રિકેટ કારકિર્દી દરમિયાન અત્યાર સુધી શીખી છે. જ્યારે પણ કોઈ મારી પાસે મદદ માટે આવે છે, ત્યારે હું તેને પ્રશ્ર્નો પૂછવા દઉં છું કારણ કે મને વધારે માહિતી આપવી યોગ્ય નથી લાગતી. યુવા ખેલાડીઓ માટે સૌથી મહત્વની બાબત એ છે કે વધુ પડતી માહિતી સાથે ઓવરલોડ થયા વિના આગળ વધવું. દરેક વ્યક્તિ ઘણી મહેનત પછી જ અહીં સુધી પહોંચી છે. હું મારા અનુભવમાંથી જે શીખ્યો છું તે વિશે જ હું તેમને માહિતી આપું છું. પરંતુ હું તેમના પર વધારે માહિતીનો બોજ નાખવા માંગતો નથી. આગળ વધવા માટે તમારે તમારી પોતાની પદ્ધતિઓ અને ઉકેલો શોધવા પડશે.