હરણી બોટ દુર્ઘટના મુદ્દે એસઆઇટીની રચના, એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ તપાસ કરાશે

વડોદરા, વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થી સહિત ૨ શિક્ષકના મોત થયા હતા. જેમાં પોલીસે તપાસ તેજ કરી છે. હરણી બોટ દુર્ઘટના મુદ્દે એસઆઇટીની રચના કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ઝોન ૪ ડીસીપી પન્ના મોમાયા, ક્રાઇમ ડીસીપી યુવરાજસિંહ જાડેજાનો એસઆઇટીમાં સમાવેશ છે. જો કે ક્રાઈમબ્રાંચના એસીપી, ૨ પીઆઇ અને ૧ પીએસઆઇનો પણ એસઆઇટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.એસઆઇટીમાં કુલ ૭ સભ્યોનો સમાવેશ છે.

ગઈકાલે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા ૧૨ બાળકો અને ૨ શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.