હાલોલના ચંદ્રાપુરા ગામે કંપની દિવાલ ધારાશાહી વતી મૃતક 4 બાળકોના વારસદારોને 16 લાખની સહાય ચુકવાઈ

હાલોલ, હાલોલમાં ગત માસની 29 મી તારીખે વરસેલા વરસાદમાં ચંદ્રપુરા ગામે ઔદ્યોગિક વસાહતમાં એક એગ્રો કંપનીની દિવાલ ધરાશાયી થઈ બાજુમાં ઝૂંપડું બાંધી રહેતા મજૂરોના પરિવાર ઉપર પડ્યાની દુર્ઘટનામાં ચાર બાળકો મોતને ભેટ્યા હતા અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિમાં માનવ મૃત્યુની ચુકવવામાં આવતી સહાય પેટે આ તમામ બાળકોના વારસદારોને પ્રતિ બાળક 04 લાખ રૂપિયા લેખે કુલ 16 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી હતી. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે મૃતક બાળકોના વાલીને સહાયના ચેક આપવામાં આવ્યા હતા. રોજગારી અર્થે ગુજરાતમાં આવેલા મધ્ય પ્રદેશના પરિવારો સાથે સર્જાયેલી કુદરતી દુર્ઘટનાની આર્થિક સહાય ઝડપી ચુકાવવમાં આવે તે માટે અત્રે ના વહીવટી સ્ટાફે ઝડપી કાર્યવાહી કરી હતી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે પણ રાજ્ય સરકારને ઝડપી સહાય માટે રજુઆત કરી હતી. આજે માત્ર 10 જ દિવસમાં આ આદિવાસી પરિવારોને સહાયના ચેક આપતા ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે બંને આદિવાસી પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી.