જ્ઞાનવાપી કેસ: એએસઆઇને સર્વે માટે વધુ ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો

વારાણસી, કોર્ટે આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઇ)ને જ્ઞાનવાપી સંકુલનો સર્વે કરવા અને તેનો રિપોર્ટ રજૂ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે જ શરતી આદેશ આપ્યો છે કે આ પછી મુદત લંબાવવામાં આવશે નહીં. આ સિવાય જ્ઞાનવાપીના અન્ય તમામ કેસોની સુનાવણી ૧૨ ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે. વ્યાસજીના ભોંયરા સંબંધમાં દાખલ કરાયેલી ટ્રાન્સફર અરજી પર ગુરુવારે સાંજ સુધીમાં આદેશ આવશે.

આ સંદર્ભે એએસઆઇ વતી ભારત સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ અમિત કુમાર શ્રીવાસ્તવે જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્ર્વેશની કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું કે ૬ ઓક્ટોબર પછી જ્ઞાનવાપીમાં સર્વે માટે વધુ ચાર સપ્તાહનો સમય આપવો જોઈએ. જેને કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.

૨૧ જુલાઈના રોજ કોર્ટે જ્ઞાનવાપીમાં સર્વે કરીને ૪ ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. ૨૪ જુલાઈએ સર્વે શરૂ થયા બાદ પહેલા સુપ્રીમ કોર્ટ અને પછી અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને કારણે ૩ ઓગસ્ટ સુધી કામ અટકી ગયું હતું. તેથી એએસઆઇએ સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે ચાર અઠવાડિયાનો વધુ સમય આપવા વિનંતી કરી હતી. કોર્ટે ૫ ઓગસ્ટે સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે વધુ ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ પછી, ૮ સપ્ટેમ્બરના રોજ, કોર્ટે એએસઆઇને સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે ચાર અઠવાડિયાનો વધુ સમય આપ્યો હતો. તેમજ સર્વેની કામગીરી પૂર્ણ કરી ૬ ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ જમા કરાવવા જણાવ્યું હતું.