જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની જીત, સુપ્રીમ કોર્ટે વજૂખાનાની સફાઈ કરવાનો આદેશ

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સીલબંધ વિસ્તારની સફાઈની માંગ કરતી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ પક્ષે જ્ઞાનવાપીના સીલ કરાયેલા વિસ્તારને ખોલવાની અને તાત્કાલિક સફાઈની માંગ કરતી અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષની માગણી સ્વીકારી છે અને સફાઈનો આદેશ આપ્યો છે. કોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ સફાઈ કરવાની પરવાનગી આપી છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મસ્જિદ પક્ષે કહ્યું કે તેમને આ અરજી સામે કોઈ વાંધો નથી. હિન્દુ પક્ષે કથિત શિવલિંગના કુંડમાં માછલીઓના મોત બાદ ફેલાયેલી ગંદકીને તાત્કાલિક સાફ કરવાની માંગ કરી હતી.

હિન્દુ પક્ષનું કહેવું છે કે અમારી માન્યતા મુજબ શિવલિંગ ત્યાં હાજર છે અને શિવલિંગને કોઈપણ પ્રકારની ગંદકી અને મૃત જીવોથી દૂર રાખવાની જરૂર છે. આવી ગંદકી વચ્ચે શિવલિંગની હાજરી અસંખ્ય શિવભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે.

હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને CJIની અધ્યક્ષતાવાળી બેંચને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની યાદી અનુસાર આ કેસની સુનાવણી 19 જાન્યુઆરીએ થવાની છે. જો કોર્ટ સુનાવણી માટે અગાઉની તારીખ આપે તો સારું રહેશે. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે આ માટે ઈમેલ મોકલો અને મામલાને રજિસ્ટ્રી સમક્ષ મુકો. અમે જોઈશું કે આ મામલો ક્યારે સુનાવણી માટે સૂચિબદ્ધ થઈ શકે છે.

હિંદુ પક્ષ હાલમાં જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ સ્થિત છે તે જગ્યાએ મંદિરના પુનઃસ્થાપનની માંગ કરી રહ્યું છે. હિંદુ પક્ષ અનુસાર, જ્ઞાનવાપી મસ્જિદ એ મંદિરનો એક ભાગ છે. જ્ઞાનવાપી સંકુલનો વિવાદ લગભગ 350 વર્ષ જૂનો છે જ્યારે તે ઔરંગઝેબના શાસનમાં હતો. હિંદુ પક્ષનું કહેવું છે કે 1669માં ઔરંગઝેબના આદેશ પર મંદિર તોડવામાં આવ્યું હતું અને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી છે.

આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને 21મી જુલાઈ 2023ના રોજ જિલ્લા ન્યાયાધીશ ડૉ.અજય ક્રિષ્નાએ જ્ઞાનવાપી સંકુલમાં સીલબંધ વજૂખાના સિવાય સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટે ASI સર્વેને મંજૂરી આપી હતી. આ દરમિયાન કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈ પણ કેસમાં પરિસ્થિતિ સર્વેક્ષણથી સ્પષ્ટ થાય તો કોઈપણ પક્ષને કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ.