![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-85.jpg)
રાજ્યમાં 1984થી ચાલતી મધ્યાહન ભોજન યોજના અત્યારે નવા નામ સાથે પી.એમ.પોષણ શકિત યોજનામાં વર્ષ 2025-26ના નાણાંકીય બજેટમાં રાજય્ સરકાર મોટો ફેરફાર લાવી રહી હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં કુલ 33 હજાર પ્રાથમિક શાળાઓ પૈકી 9 મહાનગરરોમાં ખાનગી સંસ્થાઓને મધ્યાહન ભોજન યોજના ચલાવવા આપ્યા પછી સરકાર હવે સેન્ટ્રલ કિચન યોજનાના નામે દરેક તાલુકામાં એક સેન્ટ્રલ કિચન યોજના લાગુ કરવા જઇ રહીં છે. આ નિર્ણયથી 68 હજાર વિધવા મધ્યાહન ભોજન સંચાલક સહિત 87 હજાર કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર છે.
જો કે,આનો વિરોધ ગુજરાત રાજય પી.એમ.પોષણ શકિત નિર્માણ મધ્યાહન યોજના કર્મચારી સંઘ દ્વારા કરવામાં આવ્યો છે, પણ કેટલું સરકાર સાંભળશે તે પ્રશ્ન છે.સેન્ટ્રલ કિચન યોજના આમ તો કેન્દ્ર સરકારની છે અને કેન્દ્ર સરકારે તેનો અમલ કરવાની તાકિદ કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે,સેન્ટ્રલ કિચન યોજના તેવા રાજયોને જ લાગુ પડશે જયાં રસોડા બનાવવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકારનો મૂળહેતુ જે રાજયોમાં રસોડા બનાવ્ય નથી તેવા રાજયોમાં ખાનગી એજન્સી મારફત મધ્યાહન ભોજન યોજના પુરું પાડવું તે માટે છે.
ગુજરાતમાં કુલ 33 હજાર શાળાઓ પૈકી અત્યારે 29 હજાર શાળાઓમાં મધ્યાહન ભોજન રાંધવામાં આવે છે. આ માટે મધ્યાહન ભોજન સંચાલક,રસોયા અને હેલ્પર એમ ત્રણ વ્યકિતનો સ્ટાફ પણ છે.આમછતા રાજય સરકારે દ્વારા ગત વર્ષ 2024-25ના બજેટમાં રૂ. એક કરોડ જેટલી રકમ ફાળવીને 26 તાલુકા આઇડેન્ટિફાય કરવામા આવ્યા હતા. આ 26 તાલુકામાં કેન્દ્રિય કિચન યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનામાં ખાનગી સંસ્થાઓ એક કિચન પર રસોઇ બનાવે છે અને પછી તાલુકામાં સમાવિષ્ટ શાળાઓમાં મધ્યાહન ભોજન વાહન દ્વારા પુરુ પાડે છે.
હવે આ યોજનાને આગળ વધારતા રાજય સરકાર વર્ષ 2025-26ના બજેટમાં 248 તાલુકામાં સેન્ટ્રલ કિચન કરવા જઇ રહીં હોવાનું શૈક્ષણિક સુત્રોનું કહેવું છે. જેના પરિણામે દરેક તાલુકામાં સેન્ટ્રલ કિચન થશે એટલે શાળાઓમાં ચાલતા રસોડાઓ બંધ થશે. રસોડાઓ બંધ થશે એટલે સ્વાભાવિકરીતે તેમાં કાર્ય કરતા 3 કર્મચારીઓ બેરોજગાર થશે. આ કર્મચારીઓને બદલે હવે ખાનગી સંસ્થાઓ શાળાઓમાં સીધું તૈયાર કરાયેલું ભોજન આપશે.
રાજ્ય સરકાર સેન્ટ્રલ કિચનની યોજના આગામી બજેટમાં જાહેરાત કરી શકે છે સેન્ટ્રલ કિચન યોજનાનો અમલ બજેટમાં કરવાની ગતિવિધિ હાથ ધરાઈ છે. અગાઉ પ્રાથમિક તબક્કે 26 તાલુકામાં યોજના મુકવામાં આવી હતી, ખાસ કરીને આદિજાતિ વિસ્તારના તાલુકામાં અમલ કર્યો હતો. વડોદરા, વાઘોડિયામાં સેન્ટ્રલ કિચન યોજના અમલમાં આવતા કર્મચારીઓને છૂટ્ટા કરવામાં આવ્યા હતા. આ મામલો કોર્ટમાં પડકારાઈ શકાય છે.
મધ્યાન્હ ભોજનનું 1600 કરોડનું, મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાનું 600 કરોડનું બજેટ રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાનું 1600 કરોડનું બજેટ છે. ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાનું રૂ. 600 કરોડનું બજેટ છે. દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ અપાય છે, અઠવાડિયામાં એક વખત બાળકોને સુખડી અપાય છે. આ બંન્ને યોજના કુપોષણ દૂર કરવા માટે છે. ખાનગી એજન્સીઓને યોજના પધરાવી દેવામાં આવે એટલે 87 હજાર કર્મચારીઓ બેરોજગાર બને તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.
હાલ દરેક શાળામાં રસોડું, રસોઈના સાધનો સહિત 3 કર્મચારીઓની નિમણુંક પણ કરાઈ છે મધ્યાહન ભોજન માટે શાળાઓમાં રસોડું હોય છે. રસોઇના સાધાનો વસાવ્યા છે. ગેસ કનેકશન લીધુ છે. જેના માટે 4500ના પગારદારે એક સંચાલન. રૂ. 3750નો પગારે રસોઇયો અને 1500ના પગારે એક હેલ્પર રાખવામાં આવે છે. અત્યારે 87 હજાર કર્મચારી પૈકી 68 હજાર વિધવા બહેનોની નોકરી જશે તેવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.