ગુજરાતમાં 1 ઓક્ટોબરથી લઈ શકશો સફારી પાર્ક અને ઝુની મુલાકાત

પહેલી ઓક્ટોબરથી તમામ ઝુ અને સફારી પાર્ક ફરી લોકો માટે ખુલવા જઈ રહ્યા છે. કોરોના સ્થિતિમાં તમામ પ્રાણી સંગ્રહાલયો અને સફારી પાર્ક લોકો માટે બંધ હતા. હવે અનલોક 4 અંતર્ગત છુટછાટ મળતાં સરકારના નિર્દેશ અનુસાર સિંહ દર્શન શરૂ થશે.

જૂનાગઢના સક્કરબાગ ઝુ અને ગીરમાં દેવળીયા સફારી પાર્ક શરૂ કરાશે. લાંબા સમય પછી લોકો સિંહ દર્શનનો લ્હાવો લઈ શકશે. જો કે અભ્યારણ્યો તેના નિયમ મુજબ 16 ઓક્ટોબરથી ખુલશે.

આ અંગે વન વિભાગ દ્વારા પણ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની સાથે બેઠકો કરીને તેમના નિર્દેશો અનુસાર પ્રવાસીઓને પ્રવેશ આપવામા આવશે. ઓનલાઈન બુકીંગ તથા સફારી પાર્કમાં પ્રવાસીઓની સોશ્યલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા વગેરે બાબતો અંગે પણ ચર્ચા અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સક્કરબાગ અને દેવળીયા પાર્ક શરૂ થતાં પ્રવાસન અર્થતંત્ર ફરી જીવંત થશે. માત્ર ગીરમાં જ દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વનવિભાગ અને સરકારને દર મહિને ગીરમાંથી એક કરોડની આવક થાય છે, ત્યારે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા ગીરને લઈને ક્યાંક વન વિભાગ અને સરકારને પણ નુકશાની વેઠવું પડી રહ્યું છે.

Don`t copy text!