
અમદાવાદ, દારૂકાંડમાં જામીન પર બહાર આવેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજયસિંહની અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. સંજયસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. સંજયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટી પર ટિપ્પણી કરી હતી.
અહી ગુજરાત હાઈકોર્ટે સંજયસિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નીચલી અદાલત દ્વારા આપેલા સમન્સને રદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સંજયસિંહ અને કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે યુનિવર્સિટીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ પછી નીચલી કોર્ટ દ્વારા આપ સાંસદને તેમની હાજરી માટે વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા છે.
સંજયસિંહ વતી કોર્ટમાં હાજર થયેલી રેબેકા જ્હોને કહ્યું હતું કે સંજયસિંહે યુનિવર્સિટી વિશે જે પણ કહ્યું તેમાં માનહાનિ જેવું કંઈ નથી. તેમણે દલીલ કરી હતી કે, વિડિયો પરથી સ્પષ્ટ થાય છે કે નિવેદન યુનિવર્સિટી ની બદનક્ષી કરતું નથી. એવું કહેવામાં આવ્યું નથી કે ગુજરાત યુનિવર્સિટી એ નકલી ડિગ્રી બનાવી છે. તેના પર કોર્ટે કહ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી થશે ત્યારે આ દલીલો આપી શકાય છે. એમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
વાસ્તવમાં, એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા માનહાનિના કેસમાં સંજયસિંહને સમન્સ મોકલવામાં આવ્યા છે. સંજયસિંહે સુપ્રીમ કોર્ટમાં સમન્સ રદ કરવા પિટિશન દાખલ કરી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા આપ સાંસદની અરજી ફગાવી દીધી હતી. ગુજરાત યુનિવર્સિટી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.