
- ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવ્યા છે. જ્યારે ૬ અન્ય નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક ૧૫૬ બેઠકો મેળવી ઐતિહાસિક જીત મેળવી છે. જોકે, આ વખતે પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો અને ભાજપને ટક્કર આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, આમ આદમી પાર્ટીને માત્ર ૫ જ બેઠકો મળી શકી છે. હવે જાણવા મળી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી તેના ગુજરાતના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. ઈસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે અને ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે, એટલે કે, ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવ્યા છે. જ્યારે ૬ અન્ય નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં હાર બાદ આપમાં એક નવો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે હંમેશા ગાળો ભાંડનારા અને વિવાદોના પર્યાય બની ચુકેલાં ગોપાલ ઈટાલિયાને પક્ષ દ્વારા સાઈડલાઈન કરવા માટે ગુજરાત બહાર મોકલી દેવામાં આવ્યાં છે. પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયાને હાલ મહારાષ્ટ્રનના સહપ્રભારી જેવું રૂપકડા નામ વાળું પદ પકડાવીને ગુજરાત બહારનો રસ્તો બતાડવામાં આવ્યો છે. જ્યારે સ્વચ્છ છબી ધરાવતા ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતનું સુકાન સોંપ્યું છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા સીએમ પદના ચહેરાને નક્કી કરવા માટે એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પણ ગોપાલ ઈટાલિયા કરતા ઈસુદાન ગઢવીને ચાર ગણા વધારે મત મળ્યાં હતાં. જેને આધારે ઈસુદાનને પક્ષ દ્વારા સીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ચૂંટણીમાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના ધૂરંધરોને હારનો સામનો કરવો પડ્યો છે. તો, જે સૌથી વધુ મજબૂત જણાતા હતા તે અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી હારી ગયા. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સભામાં લોકો તો મોટી સંખ્યામાં એકઠા થતા હતા, પરંતુ તેને વોટ પરિવતત ન થયા. જેના કારણે આપને માત્ર પાંચ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. જોકે, આપના કારણે ગુજરાતમાં કોંગ્રેસને ઘણો ફટકો પડ્યો છે અને લગભગ ૩૫ બેઠકો પર તેના કારણે પરિણામો બદલાઈ ગયા. ગુજરાતમાં પાંચ બેઠકો જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બની ગઈ છે. ત્યારે હવે આપના ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે તેવું કહેવાઈ રહ્યું છે.
ગુજરાતમાં આપ હવે કોંગ્રેસનો વિકલ્પ બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે ઈસુદાન ગઢવીને પક્ષના નવા પ્રદેશ પ્રમુખ બનાવાયા છે અને હાલના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં આપના પાંચ ધારાસભ્યો અને મોટા આગેવાનો દિલ્હી પહોંચ્યા છે અને ત્યાં આપના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક થયા પછી એવા સંકેત મળી રહ્યા છે કે, આપના ગુજરાતના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે.