
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડબ્રહ્મા તાલુકાના ભૂતિયા ગામની 24 વર્ષીય મનીષાબેન ખરાડીએ ગેરકાયદે રીતે 3-4 મહિનાનો ગર્ભપાત કરાવ્યો, જેના કારણે તેમની હાલત અત્યંત ગંભીર બની હતી. મહિલાના માસિક સ્રાવના માર્ગેથી લગભગ 3-4 ફૂટ જેટલું આંતરડું બહાર નીકળી આવતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડૉ. પલ્લભ પટેલના નેતૃત્વમાં ડૉ. નીરવ પટેલ, ડૉ. શાશ્વત શાહ અને ડૉ. દર્શકની ટીમે ગાયનેકોલોજિસ્ટ સાથે મળીને સાડા ત્રણ કલાક સુધી જટિલ ઓપરેશન કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે મોટા આંતરડાને ગંભીર નુકસાન થયું હોવાથી તેને દૂર કરવું પડ્યું. યોનિમાર્ગમાં થયેલી ઈજાની પણ સારવાર કરવામાં આવી. ઓપરેશન દરમિયાન દર્દીને બે બોટલ લોહી આપવું પડ્યું હતું.
આ ઘટના ગેરકાયદે ગર્ભપાત કરાવવાના ગંભીર જોખમો અને પરિણામો દર્શાવે છે. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ RMOએ આ કેસની પુષ્ટિ કરી છે. તબીબોની કુશળ ટીમની સમયસર કાર્યવાહીથી મહિલાનો જીવ બચી શક્યો છે. આ ઘટના સમાજમાં જાગૃતિ લાવવા માટે એક ચેતવણીરૂપ કિસ્સો બની રહી છે.