ગોધરામાં મકાન ઊંચું કરવાની અનોખી ટેક્નિક:320 જેકથી 1400 ટનનું બે માળનું ઘર ઊંચું કરાયું; ચોમાસામાં પાણી ભરાવાથી મકાન બેસી જવાની સમસ્યાથી છુટકારો મળશે

ગોધરા શહેરમાં એક અનોખી ઘટના સામે આવી છે. દાહોદ રોડ પર આવેલી ગોધરા પાર્ક સોસાયટીમાં એક મકાનને જેક દ્વારા ઊંચું કરવામાં આવ્યું છે. ચોમાસામાં પાણી ભરાવાના કારણે મકાન બેસી જતું હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.

પાટણની ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપનીના મુકેશભાઈ નાયી અને તેમની ટીમે આ અભૂતપૂર્વ કામગીરી હાથ ધરી છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં આ પ્રકારની પહેલી ઘટના છે. 320 શક્તિશાળી જેકની મદદથી 1400 ટનના બે માળના મકાનને ઊંચું કરવામાં આવ્યું છે. આ કામગીરી એક મહિના સુધી ચાલશે.

મુકેશભાઈ નાયીના જણાવ્યા મુજબ, તેમની ટીમ છેલ્લાં 34 વર્ષથી આ પ્રકારની કામગીરી કરી રહી છે. તેમણે અત્યારસુધીમાં ભારત અને ગુજરાતમાં 6000થી વધુ મકાનને જેકથી ઊંચાં કર્યાં છે. એટલું જ નહિ, 100થી વધુ મકાન, બિલ્ડિંગ અને મંદિરોને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડ્યાં છે.કંપની નમી ગયેલાં મકાનોને સીધા કરવાનું અને રોડથી 20-25 ફૂટ અંદર ખસેડવાનું કામ પણ કરે છે. આ ટેક્નિક જૂનાં મકાનોને તોડ્યાં વગર નવેસરથી ઊભાં કરવામાં મદદરૂપ થાય છે, જે ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ છે જેમના માટે નવું મકાન બનાવવું શક્ય નથી.

મળતી માહિતી મુજબ, ગોધરા શહેરમાં દાહોદ રોડ ઉપર ગોધરા પાર્ક સોસાયટીમાં રહેતા એક રહીશનું મકાન ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે બેસી ગયું હતું, જેથી મકાનને તોડ્યા વગર જેકથી ઊંચું કરાવી એનું રિકન્સ્ટ્રકશન કરાવવાની ફરજ પડી હતી.ત્યારે પાટણની ગુરુદેવ કન્સ્ટ્રકશન કંપનીના મુકેશભાઈ નાયી તેમજ તેમની ટીમ દ્વારા ગોધરા શહેરમાં અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ સૌપ્રથમવાર મકાન ઊંચું કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

એક મહિનાના સમયગાળા દરમિયાન મકાનને ઊંચું કરી જરૂરિયાત મુજબની કામગીરી કર્યા બાદ પુનઃ સ્થાપિત કરાશે. હાલના સમયમાં જૂના મકાનને તોડી નવું મકાન બનાવવું બધા માટે શક્ય નથી. પાટણની ગુરુદેવ કન્સ્ટ્રકશન કંપનીના મુકેશભાઈ નાયી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.