ગોધરા તાલુકાના ઓરવાડા અને બોડીદ્રા તળાવમાંથી કેનાલ જર્જરિત થતાં સિંચાઈ પાણી આપવાનુ બંધ કરાયુ

ગોધરા, ગોધરા બોડીદ્રા ગામમાં સિંચાઈ સુવિધા માટે બનાવવામાં આવેલી કેનાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ઓરવાડા અને બોડીદ્રા તળાવ મારફતે આપવામાં આવતુ પાણી બંધ કરાયુ છે જેથી સ્થાનિકોની સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. અહિંના ખેડુતો પોતાની મહામુલી જમીન સિંચાઈ સુવિધા મળે તો હરિયાળી બને એવો આશાવાદ વ્યકત કરી રહ્યા છે. બીજી તરફ સિંચાઈ સુવિધા માટે બનાવવામાં આવેલી કેનાલનુ હાલ અસ્તિત્વ પણ કેટલાક સ્થળે ખોવાઈ ગયુ હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.

ગોધરા તાલુકાના બોડીદ્રા અંદાજિત દસ હજારની વસ્તી ધરાવતુ ગામ છે. અહિં આવેલી 500 હેકટર કરતા વધુ જમીનમાં ખેડુતો ચોમાસા સિવાયની અન્ય બે ઋતુમાં ખેતી કરી ધરે બેઠા સારી આવક રળી શકે એવા શુભ આશય સાથે અહિં અંદાજિત 40 વર્ષ પુર્વે ઓરવાડા સિંચાઈ તળાવ આધારિત કેનાલનુ નિર્માણ કરાયુ હતુ. દરમિયાન થોડા વર્ષો સુધી અહિં સિંચાઈ માટે પાણી મળતા ખેડુતોમાં ખુબ જ ખુશી વ્યાપી હતી. અને કાયમી ધોરણે પાણી મળી રહેવાની આશાઓ બંધાઈ હતી. પરંતુ હાલની સ્થિતિ એ તો આ સંપુર્ણપણે દિવા સ્વપ્ન બની હોય એવુ જોવા મળી રહ્યુ છે. હાલ સમગ્ર કેનાલ દુર્દશામાં ફેરવાઈ ગઈ છે. અને ઓરવાડા ગામના તળાવમાં પાણીનો જથ્થો હોવા છતાં ગોધરા તાલુકાના બોડીદ્રા ગામના ખેડુતોને છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી સિંચાઈ માટે કેનાલ મારફતે આપવામાં આવતુ પાણી બંધ થતાં ખેડુતોની હાલત કફોડી બની છે. ઓરવાડા સિંચાઈ તળાવમાંથી ખેડુતોને સિંચાઈ માટે પાણી આપવા માટે માતબર ખર્ચે તૈયાર કરાયેલી કેનાલની હાલત પણ બદતર બની જમીનમાં ભળી ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.બીજી તરફ અહિ કુવાના જળ સ્તર પણ નીચે જવાથી ખેડુતોને કુવા મારફતે સિંચાઈ નહિવત પ્રમાણમાં થઈ શકે છે. અન્યથા માત્ર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર રહેવુ પડે છે. ચોમાસા બાદના સમયમાં સ્થાનિકો પેટીયુ રળવા બહારગામ મજુરી અર્થે જવા મજબુર બને છે. દરમિયાન મહામુલા ખેતરો પણ વેરાન બની ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ અહિં સમગ્ર વિસ્તારમાં સિંચાઈ પાણી મળતુ હતુ ત્યારે હરિયાળુ વાતાવરણ હતુ. ત્રણ સીઝનમાં વાવેતર થતુ હતુ પરંતુુ ઓરવાડા તળાવમાંથી સિંચાઈ પાણી મળતુ બંધ થતાં હવે ઉનાળા અને શિયાળામાં ખેતી થઈ શકતી નથી.