દેશ અને વિદેશમાં ગોધરાના દાંડિયાની માગ : ગોધરામાં નોરતાની રમઝટ જમાવતા દાંડિયા મુસ્લિમ પરિવારો બનાવે છે

ગોધરામાં વર્ષોથી મુસ્લિમ કારીગરો દાંડિયા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલાં છે. ગોધરામાં નાના મોટા મળીને 150થી વધુ કારખાના આવેલા છે. જેમા વિવિધ પ્રકારના દાંડીયા બનાવવામાં આવે છે. રજવાડી તથા સાદા દાંડિયા સહીત ચાલુ વર્ષે તિરંગા દાંડીયા તૈયાર કરવામાં આવ્યા છે. જેની માંગ પણ વધુ જોવા મળી છે.

નવરાત્રી મહોત્સવને લઈને રાસ ગરબા પ્રેમીઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમા રાસ રમવા દાંડીયાનો ખાસ ઉપયોગ કરાતો હોય છે. જે દાંડીયાને ગોધરામાં વર્ષોથી મુસ્લીમ કારીગરો દ્વારા બનાવી રહ્યાં છે. ગોધરામાં અંદાજિત 150થી વધુ નાના મોટા સંગાડા કારખાનામાં 500થી પણ વધુ કારીગરો રંગબેરંગી દાંડિયા બનાવવામાં આવે છે. જેમા વર્ષે 25 લાખ દાંડિયા બનાવાતા હોય છે. કારખાનાવાળાઓ પાસેથી ગુજરાત અને ગુજરાત બહાર દાંડિયાનો સપ્લાય કરે છે.

મુસ્લિમ કારીગરો નવરાત્રીના 6 મહિના પૂર્વે મુસ્લિમ કારીગરો દાંડિયા બનાવવાના કામે લાગી જાય છે. જેમા કણજ તથા લીમડાના લાકડામાંથી આકર્ષક દાંડીયા બનાવાય છે. જેમા ખાસ રજવાડી દાંડિયા બનાવવા માટે સાદા દાંડીયાને એક અલગ પ્રકારના કલરથી રંગી રજવાડી કાપડ લપેટાય છે. ત્યારે ચાલુ વર્ષે તિરંગા દાંડીયા બનાવવામાં આવ્યા છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગોધરાના દાંડિયાની દેશ સહીતઆફ્રિકા, અમેરિકા, ગલ્ફના દેશો સહીતઅનેક દેશોમાં માંગ હોય છે. વિદેશમાં દાંડીયા અમદાવાદ અને મુંબઈથી એક્સપોર્ટ કરવામાં આવે છે.

અમને સરકારી લાભ મળતો નથી ગોધરામાં વર્ષોથી મુસ્લિમ બિરાદરો દ્વારા દાંડિયાનું ઉત્પાદન કરાય છે. આ વ્યવસાયમાં હવે કઈ વધુ ફાયદો થતો નથી. મોંઘવારીને લઈને દાંડિયાના ભાવોમાં પણ વર્ષોથી જોઈએ તેવા વધારો થયો નથી. હાલ માર્કેટમાં અંદાજિત હોલસેલ ભાવમાં 16,20 અને 24 રૂપિયાની આસપાસ એક જોડ દાંડિયાનું વેચાણ થાય છે. જેમાં કારીગરનો પગાર, લાઈટ બિલ, કારખાનાનું ભાડું વિગેરે ચૂકવવાનું હોવાથી નફાનું સ્તર અનેક ઘણું ઘટી જતા અમુક સમયે નુકશાન વેઠવાનો વારો આવે છે. અમોને સરકારી કોઈ લાભ નથી મળતો. – મુસ્તાકભાઈ ભાઈજમાલ, દાંડિયા કારીગર