ગોધરામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં હવે ઘૂંટણના દર્દથી કણસતા દર્દીઓ માટે “ની રિપ્લેસમેન્ટ” (ઘૂંટણ બદલવાની) સર્જરીની શરૂઆત

રાજ્યના પ્રજાજનોની આરોગ્ય સંપદાને સુરક્ષિત અને સુદ્રઢ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને આરોગ્યવિષયક જરૂરી તમામ સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. સરકારના સતત માર્ગદર્શન અને નવીન ટેકનોલોજીના કારણે આજે લાખો નાગરીકોને મોંઘી અને જટીલ સારવાર રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે અને સરળતાથી મળી રહી છે. ગુજરાતના નાગરીકોની આરોગ્ય સુખાકારીનો રાજય સરકારનો આ ઉદ્દેશ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સાચા અર્થમાં ચરિતાર્થ થઈ રહયો છે. ગોધરા સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીનારાયણને શ્રેષ્ઠ સારવાર આપી તેમની આરોગ્ય સુખાકારી માટે બહુમુલ્ય કાર્ય કરવામાં આવી રહયુ છે.

 

  • ઘૂંટણની તકલીફને કારણે ચાલી ના શકતા એવા બે દર્દીઓની 3D ટેક્નોલોજી થકી સફળ સર્જરી કરી બંને દર્દીઓને ફરીથી ચાલતા કરતા ઓર્થોપેડીક સર્જન ડૉ.અભિરાજ પટેલ
  • 3D ટેકનોલોજીથી “ની રિપ્લેસમેન્ટ” સર્જરી કરનાર ડોકટર અને હોસ્પિટલની મુલાકાત લઇ અભિનંદન પાઠવતા જિલ્લા કલેકટર આશિષકુમાર
  • રાજ્યમાં પ્રથમ વખત સરકારી હોસ્પિટલમાં 3D ટેકનોલોજીથી કરાઇ ઘૂંટણ રીપ્લેસમેન્ટની સફળ સર્જરી
  • પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના થકી વિનામૂલ્યે સફળ સર્જરી કરાવી ફરીથી ચાલતા થયેલા દર્દીઓ દેવાભાઇ અને મુળજીભાઈ માની રહ્યા છે સરકારનો આભાર

મધ્ય ગુજરાતના પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓની મુખ્ય સરકારી હોસ્પિટલ ગોધરા ખાતે આવેલી છે. તાજેતરમાં, ગોધરા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમવાર ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રથમ વખત 3D ટેક્નોલોજી આર્ટિફિશીયલ ટેકનિકની મદદથી બે દર્દીઓના ઘૂંટણ બદલવાની સફળતાપુર્વક સર્જરી અર્થોપેડિક ડોકટર અભિરાજ પટેલ દ્વારા કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી આ સર્જરી ગોધરાની સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી છે. 

જેને ધ્યાને લઇને જિલ્લા કલેકટર આશિષકુમાર એ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સર્જરી કરનાર ઓર્થોપેડીક તબીબ અને સીડીએમઓ શ્રીને હોસ્પિટલમાં ઘૂંટણ બદલવાની સર્જરીની શરૂઆત કરવા બદલ તેમજ 3D ટેકનોલોજી આર્ટિફીશિયલ ટેકનિક  દ્વારા કરવામાં આવેલ બે સફળ સર્જરી  માટે અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલ ઘૂંટણ બદલવાની સર્જરીની સારવાર એ તમામ જિલ્લાવાસીઓ માટે ગૌરવની બાબત છે અને સરસ રીતે અદ્યતન થ્રીડી ટેકનોલોજી આર્ટિફિશિયલ ટેકનીકથી કરવામાં આવેલી દર્દીઓના ઘૂંટણ બદલવાની સફળ સર્જરી એ સંપૂર્ણ રાજ્યમાં સિવિલ હોસ્પિટલમાં કરવામાં પ્રથમ વખત કરવામાં આવી છે જે આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે.  તેમ જણાવી કલેકટરશ્રીએ જિલ્લાના અન્ય જરૂરતમંદ દર્દીઓ પણ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ આ પ્રકારની સર્જરીનો લાભ લેશે અને સ્વસ્થ જીવન ગાળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

શહેરા તાલુકાના અણીયાદ ગામના દેવાભાઈ વણકર છેલ્લા એક વર્ષથી અને ગોધરા તાલુકાના મૂળજીભાઈ બારિયા છેલ્લા બેથી વધુ વર્ષથી અસહ્ય દર્દ અનુભવી રહયા હતાં અને તેમને ચાલવામાં પણ તક્લીફ થઈ રહી હતી.. ખાનગી હોસ્પિટલોમાં મેડિકલ તપાસ ત્યાં તેમને ઘૂંટણ બદલવાના ઓપરેશન માટે એક પગ દીઠ અંદાજે અઢી થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવવામાં આવ્યું હતું.  આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે આટલા બધા રૂપિયાનો ખર્ચ ભોગવી શકાય તેમ ન હતો તેથી તેઓએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં ઉપસ્થિત ડૉ. અભિરાજ પટેલને બતાવ્યું. 

જ્યાં ડૉ. અભિરાજ પટેલ દ્વારા બન્ને દર્દીઓનું નિદાન કરી થ્રીડી ટેકનોલોજીથી થતી સર્જરીની સમજણ આપીને 3D ટેકનોલોજીનો ઉપયોગ કરીને બન્ને દર્દીઓના ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી કરવાની યોજના બનાવાઈ અને પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંતર્ગત 3D ટેક્નોલોજી દ્વારા ઘૂંટણ રીપ્લેસમેન્ટની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ સર્જરી પછી, બંને દર્દીઓ હવે બે અઠવાડિયામાં જ કોઈપણ દર્દ વિના ચાલવા લાગ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિનામુલ્યે ઘૂંટણ રીપ્લેસમેન્ટની સર્જરી કરાવીને સ્વસ્થ થયેલા પોતાના જેવા હજારો-લાખો લોકોની આરોગ્ય સંભાળ-સારવાર કરતાં આવા સરકારી દવાખાના ચલાવીને દર્દીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા બદલ તેઓ ડૉક્ટર, સિવીલ હોસ્પિટલ અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડૉ.અભિરાજ પટેલે જણાવે છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિનામુલ્યે કરવામાં આવેલ આ સમગ્ર જિલ્લાનું આ પ્રકારનું પ્રથમ ઓપરેશન છે. 3D ટેક્નોલોજી આર્ટિફિશીયલ ટેકનિકની મદદથી થતા આ પ્રકારના ઓપરેશનમાં દર્દીના એકસ-રે અને સીટી સ્કેન સહિત જરૂરી તપાસ કરીને એક દિવસ પહેલા જ એક દર્દીના આર્ટીફિશીયલ મોડેલ તૈયાર કરીને તેની પર સર્જરી કરવામાં આવે છે. જેથી બીજા દિવસે દર્દી પર કરવામાં આવનાર સર્જરીમાં ઇમ્પ્લાન્ટની સાઇઝ અને અન્ય જરૂરી બાબતમાં સમય અને જટિલતાનું પ્રમાણ ઘટી જાય છે.  આ પ્રકારના સર્જરીમાં ખાનગી હોસ્પિટલમાં ઘુટણ દીઠ અઢી થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જે સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિનામુલ્યે કરવામાં આવ્યુ છે.