ગોધરા બામરોલી રોડ સત્યમ સોસાયટીમાં જુના ઝધડામાં 4 ઈસમો દ્વારા હુમલો કરતાં ફરિયાદ

ગોધરા, ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં જુના ઝઘડાની અદાવતે ચાર ઈસમો દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં આવેલા રાવળવાસમાં રહેતા કલ્પેશ મનુભાઈ રાવળે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 21 તારીખે રાત્રિના સમયે તેઓના ઘર પાસે રહેતા વરૂણભાઈ રાવળે કલ્પેશભાઈને જણાવ્યું હતું કે, બપોરના સમયે તે મારી બહેન સાથે કેમ ઝઘડો કર્યો હતો. તેમ જણાવીને વરૂણભાઈ રાવળ, રાકેશભાઈ રાવળ અને અશોકભાઈ રાવળ હાથમાં લાકડાના દંડા સાથે આવીને કલ્પેશભાઇને માથાના તેમજ હાથ પર મારીને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ સૌરભ રાવળે કલ્પેશભાઈને પગના ભાગે લોખંડની પાઇપનો ફટકો મારીને ઈજાઓ પહોંચાડી હતી, તેમજ કલ્પેશભાઈના પરિવારજનો સચિન અને ગાયત્રીબેનને પણ ચારેય ઈસમોએ ભેગા મળીને ગડદા પાટુંનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે ચારેય ઈસમો સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.