ઘરકંકાસમાં પતિએ લગાવી મોતની છલાંગ : એપાર્ટમેન્ટના સાતમાં માળેથી કૂદી આપઘાત કર્યો, પત્ની આઘાતમાં; અંકલેશ્વરમાં કૌટુંબિક કલેશમાં દુ:ખદ ઘટના

અંકલેશ્વરમાં કૌટુંબિક કલેશે એક વ્યક્તિનો જીવ લીધો છે. જુના નેશનલ હાઇવે-8 પર સ્થિત સાંઈ ગોલ્ડન રેસિડેન્સીના રહેવાસી અસલમ હસન શેખે આપઘાત કર્યો છે.

ગઈકાલે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે અસલમ અને તેમની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ફ્લેટ નંબર 712માં રહેતા દંપતીની તકરાર દરમિયાન અસલમે અચાનક સાતમાં માળની ગેલેરીમાંથી છલાંગ લગાવી દીધી હતી. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ દુ:ખદ ઘટના બાદ પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવી હતી. પતિનો મૃતદેહ જોઈને તે આઘાતમાં સરી પડી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અસલમને છલાંગ લગાવતો હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પતિ-પત્ની વચ્ચે કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.